Team chabuk-guarat desk: ગીર સોમનાથના ઊના તાલુકાના પસવાળા ગામે ઈનફાઈટમાં બે સિંહબાળનો ભોગ લેવાયો છે. સિંહે ગામની માલણ નદી પર આવેલા ચેકડેમ નજીક બે બચ્ચાંને ફાડી ખાધા હતા. આ ઘટના પાછળ અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે, સિંહણ સાથે સંવનનમાં ખલેલ પહોંચાડતા સિંહે બંને બચ્ચાંને ફાડી ખાધા હોઈ શકે છે. ઘટનાસ્થળના દ્રશ્યો એટલાં બિહામણાં હતા કે તેની તસવીરો પણ અહીં દર્શાવી શકાય તેમ નથી. ગુસ્સે ભરાયેલા સિંહે પોતે જ પોતાના બચ્ચાંનો શિકાર કરતાં વન વિભાગે પણ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું. સિંહે બંને બંચ્ચાનું ધડ અને માથું અલગ કરી દીધું હતું. એટલું જ નહીં ઘટનાસ્થળેથી 2 સિંહબાળના કુલ 2 જ પંજા વન વિભાગના હાથમાં આવ્યા છે. બાકીના 6 પંજા સિંહ ખાઈ ગયો હોવાનું અનુમાન છે. ઘટનાસ્થળેથી જે બે પંજા મળ્યા છે તે પણ સિંહબાળના ધડથી અલગ પડ્યા હતા. આ બંને પંજામાં સિંહબાળના નખ પણ જેમના તેમ જ હતા. આ ઉપરાંત બંને સિંહબાળના માથા પર પણ એક ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા.
સ્થાનિકોનું કહેવું છે કે, પસવાળામાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને સિંહણ તેના બે બચ્ચાં સાથે વસવાટ કરી રહી છે. અવાર નવાર આ યુગલ અહીં જોવા મળતું હતું. પસવાડાની સીમમાં આ દર્દનાક કિસ્સો વહેલી સવારે બન્યો હતો. ગામના ચેકડેમ પાસેથી સિંહણના રડવાનો અવાજ આવતા કેટલાક લોકો તે તરફ ગયા હતા અને દ્રશ્યો જોઈને ચોંકી ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, જ્યારે તેમણે જોયું ત્યારે સિંહણ સિંહબાળના મૃતદેહ પાસે માણસની જેમ ડૂસકા ભરી રહી હતી. તે પોતાના બચ્ચાંના વિકૃત હાલતમાં પડેલા મૃતદેહને જોઈને રડી રહી હતી. આ દ્રશ્યો જોઈને તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ હતી.
વન વિભાગને જાણ થતાં જ તેઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સિંહબાળના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. સિંહબાળના મોતથી સિંહણ ગુસ્સે ભરાઈ છે જેથી ગુસ્સામાં હવે સિંહણ કોઈ માણસ પર હુમલો ન કરે તે માટે ઘટનાસ્થળે વન વિભાગની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ઊનાના નાના એવા ગામમાં સિંહણની ઈનફાઈટથી ડરનો માહોલ પણ છે. બીજી તરફ હાલ આ કિસ્સો સમગ્ર ઊનામાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. હાલ વન વિભાગે સિંહનું સ્ક્રેનિંગ કરી તેની શોધખોળ શરૂ કરી અને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે.
સિંહ-સિંહણ વિશેની કેટલીક રોચક વાતો
સિંહણ જ્યારે ઉત્તેજિત થાય છે ત્યારે તે એક કરતાં વધારે સિંહ સાથે સંવનન કરી શકે છે. સિંહ-સિંહણની આ પ્રણયક્રિયા કેટલાય દિવસો સુધી ચાલે છે. આ દરમિયાન તે ખાવા-પીવાનું પણ છોડી દે છે. ગર્ભધારણ કર્યા બાદ સિંહણ 110 દિવસમાં 3થી 4 બચ્ચાંને જન્મ આપે છે. સિંહબાળના જન્મબાદ તેની આંખો એક સપ્તાહ સુધી બંધ રહે છે. ત્રણ સપ્તાહ બાદ સિંહબાળ ચાલી શકે છે. સિંહનું સરેરાશ આયુષ્ય અંદાજીત 10 વર્ષ જેટલું હોય છે. એક સ્વસ્થ નર સિંહ 15થી 16 વર્ષ પણ જીવી શકે છે. સિંહનું આયુષ્ય સિંહણની તુલનામાં ઓછુ હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત