Team Chabuk-Gujarat Desk: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મહિલા અટેન્ડેન્ટના યૌન શોષણ મામલે આખરે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જી.જી. હોસ્પિટલમાં યૌન શોષણ મામલે એચ.આર. મેનેજર એલ.બી.પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. હજુ પણ આ મામલે વધુ નામ ખૂલે તેવી શક્યતા વર્તાઈ રહી છે. પોલીસે બન્ને આરોપીને ગઈકાલ રાત્રે દબોચી લીધા હતા.
શું છે મામલો
જામનગરની સરકારી જી.જી. કોવિડ હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓએ સુપરવાઈઝર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. મહિલા અટેન્ડન્સનો આરોપ હતો. આરોપીઓ હોસ્પિટલમાં કામ કરતીં યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટો પાડતાં હતા અને ફોટા બતાવીને બ્લેકમેઈલ કરતાં હતા. યુવતીઓને બ્લેકમેઈલ કરીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરતાં હતા. જે યુવતીઓ સુપરવાઈઝરના તાબે થઈ જતી તેઓને સારી સગવડ પણ આપવામાં આવતી અને જે યુવતીઓ તાબે ન થતી તેઓને હેરાન પરેશાન કરીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી.
રાજ્ય સરકાર હરકતમાં આવી હતી
સમગ્ર મામલો સામે આવતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી. રાજ્ય સરકારે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ જામનગરના કલેક્ટર સાથે વાત કરીને કડક તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. કલેક્ટરે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવી હતી. કમિટી દ્વારા મહિલા અટેન્ડન્ટના નિવેદનો લઈને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલવામાં આવ્યો હતો.
ડોક્ટર પણ આવ્યા હતા સમર્થનમાં
જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટે સુપરવાઈઝર સામે કરેલા આક્ષેપોના સમર્થનમાં હોસ્પિટલના જ એક પુરુષ તબીબ પણ આવ્યા હતા. પુરુષ તબીબે મીડિયા સમક્ષ સમગ્ર વિગતો જાહેર કરી હતી. કોણ અને કેવી રીતે મહિલા અટેન્ડન્ટનું શોષણ કરતું હતું તેની સમગ્ર વાત જાહેર કરવામાં આવી હતી.
હજુ બે-ત્રણ નામો ખુલે તેવી શક્યતા
જી.જી. કોવિડ હોસ્પિટલના આ યૌનશોષણ મામલે હાલ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ આ મામલે હજુ પણ બે-ત્રણ નામો ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ બન્ને આરોપીની કડક પુછપરછ કરી રહી છે. સાથે જ પોલીસે અન્ય દિશામાં પણ આ મામલે તપાસ હાથ ધરી છે. આ તપાસમાં વધુ નામો ખુલે તેવી તીવ્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત