Team Chabuk-Gujarat Desk: કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આરોગ્ય સેવિકા હેતલબહેન મોચીની કોરોના રસીકરણમાં કર્મનિષ્ઠ સેવાઓની સુગંધ છેક નવીદિલ્હી સુધી ફેલાઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની આ કાર્ય સમર્પિતતા સ્પર્શી જતાં તેમણે આજે મન કી બાત પ્રસારણમાં તેનો ખાસ ઉલ્લેખ કરીને, ૧૦૦ કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા પાયાના આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને દિલ થી બિરદાવતા,જિલ્લા આરોગ્ય પરિવાર પ્રોત્સાહિત થયો છે.
આ અંગે જાણકારી આપતાં કરજણ તાલુકા આરોગ્ય અધિકારી અને તબીબી અધિક્ષક ડો. પ્રશાંતસિંઘે જણાવ્યું કે હેતલબહેન, રસીકરણની શરૂઆતથી એટલે કે છેલ્લા દસ મહિનાથી સતત કોરોના રસી મૂકવાની સેવાઓ આપી રહ્યાં છે. પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને તેઓ લોકોને રસી મૂકી રહ્યાં છે.
આ સમયગાળામાં તેમના પરિવારમાં તકલીફ સર્જાઈ, સાસુ સસરાને બીમારી આવી, નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતોને મેનેજ કરીને તેઓ રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી રહ્યાં છે. તેઓ દૈનિક અંદાજે ૨૦૦ લોકોને રસી મૂકે છે. એક અંદાજ પ્રમાણે તેમણે ૨૪ હજારથી વધુ લોકોને પહેલા અથવા બીજા ડોઝની રસી મૂકી છે. જેમણે હેતલબહેન પાસે રસીના બંને ડોઝ મુકાવ્યા છે એવા લોકો પ્રધાનમંત્રી દ્વારા તેમની સેવાઓને બિરદાવવામાં આવતાં ખુશી અનુભવી રહ્યાં છે.
તેની સાથે તેમણે રસી લેવાની જાગૃતિનો લોકોમાં સંચાર કરવાનું કામ પણ કર્યું છે. તેમણે લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓનું સમજાવટ દ્વારા નિવારણ કરીને રસી લેવા માટેનો લોકોનો ઉત્સાહ વધાર્યો છે. અમે તેમની સિદ્ધિ થી ગૌરવ અનુભવીએ છે.
જિલ્લા આરોગ્ય તંત્રના કેટલાંક કર્મયોગીઓએ કોરોના રસી મૂકવામાં અદભૂત નિષ્ઠા બતાવી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, આ કર્મયોગીઓમાં હેતલબહેન મોખરે રહ્યાં છે અને આખા જિલ્લા આરોગ્ય પરિવારને તેમણે ગૌરવ અપાવ્યું છે.
દેશના વડાપ્રધાન દ્વારા તેમની યશસ્વી કામગીરીનો ઉલ્લેખ રાષ્ટ્રીય પ્રસારણમાં કરવામાં આવ્યો, તેનાથી પ્રોત્સાહિત થયેલા હેતલબહેન જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રોત્સાહનથી ભારતે ૧૦૦ કરોડ લોકોને કોરોના રસી આપીને વિશ્વ વિક્રમ કર્યો. આ પ્રક્રિયામાં હું મારી સહ ભાગીદારીનો ગર્વ અનુભવું છું. પરિવાર અને સાથીઓના સહયોગથી હું આ કામ સતત કરી શકી છું. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. એટલે જે લોકો બાકી છે એ બધાં જ સમયસર રસી મૂકાવી લે અને માસ્ક પહેરવા સહિત કોવિડ અટકાવવાની તકેદારીઓ પાળે એવી લાગણી તેમણે વ્યક્ત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત