Team Chabuk-Gujarat Desk: સોના કે હીરા મોતીના દાગીનાને આપણે સહુ જીવની જેમ સાચવીએ છે પરંતુ જેના લીધે જીવન છે તેવા, માનવ શરીરના સોના કરતાં પણ અમૂલ્ય હૃદય, કિડની, ફેફસાં જેવા અંગોને સાચવવામાં આપણે કોચરાઈ દાખવીએ છે.
સયાજી હોસ્પિટલના, કિડનીની નિષ્ફળતા કે ઘટી ગયેલી કાર્યક્ષમતાના વિકલ્પે લોહીના શુદ્ધિકરણની સેવા આપતાં ડાયાલિસિસ વિભાગનું છેલ્લા ૧૫ વર્ષથી નેતૃત્વ કરી રહેલા એસોસિયેટ પ્રોફેસર ડો.અજય ડાભી કહે છે કે, સંયમિત આહાર વિહાર અને પૂરતું પાણી પીવા જેવી કાળજી લઈને કિડની આજીવન સાચવવી ખૂબ જરૂરી છે અને જો તેમાં કોઈ મુશ્કેલી જણાય તો તુરંત નિદાન કરાવવું કાળજીપૂર્વક સારવાર લેવી અનિવાર્ય છે.
ભગવાને શરીરમાં બે કિડની આપી છે પરંતુ આ અવયવનો આમ તો કોઈ વિકલ્પ નથી અથવા અન્ય વ્યક્તિની કિડની જ વિકલ્પ છે.
તબીબ વિજ્ઞાને તેના માટે એક કૃત્રિમ અને યાંત્રિક વિકલ્પ ડાયાલિસિસનો શોધ્યો છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી કિડની બગડતી અટકાવવાની કાળજી લેવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોરોના કાળમાં પણ સયાજી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગે સતત કિડનીના નોન કોવિડ અને કોવિડ થયો હોય તેવા દર્દીઓને આ સેવા પૂરી પાડી છે.
આમ આદમીની ભાષામાં કહીએ તો કિડની એ માનવ શરીરમાં લોહીને શુદ્ધ રાખવાનું કામ કરતી ગરણી છે અથવા લોહી શુદ્ધ રાખવાનો આર.ઓ. પ્લાન્ટ છે તેવી લાગણી વ્યકત કરતા ડો.અજય ડાભીએ જણાવ્યું કે, અમારા વિભાગે કોરોના કાળની વાત કરીએ તો માર્ચ 2020થી વર્તમાન જૂન 21 સુધીમાં 9053 નોન કોવિડ અને 835 કોવિડગ્રસ્ત કિડની દર્દીઓને સતત ડાયાલિસિસની સેવાઓ આપી છે.
વિગતવાર માહિતી આપતાં કોરોના સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે, કોવિડ દરમિયાન જ્યારે અન્ય ઘણાં વિભાગોમાં રોજિંદી કામગીરી ઘટી ગઈ હતી ત્યારે ડાયાલિસિસ વિભાગમાં નોન કોવિડની સાથે કોવિડ કિડની દર્દીઓ માટે વિશેષ ડાયાલિસિસ વ્યવસ્થાની કામગીરી વધી હતી.
આ વિભાગે 2020માં નોન કોવિડ 6407 દર્દીઓ એટલે કે માસિક સરેરાશ 534 દર્દીઓનું અને માર્ચથી ડિસેમ્બર-2020 સુધી 359 કોવિડ કિડની દર્દીઓનું એટલે કે સરેરાશ માસિક 35 દર્દીઓનું ડાયાલિસિસ કર્યું હતું.
જ્યારે 2021ના જાન્યુઆરી થી જૂન સુધીમાં 2646 નોન કોવિડ અને 301 કોવિડ કિડની દર્દીઓનું ડાયાલિસિસ કર્યું હતું. બીજી લહેરની એપ્રિલ-મેની પિકમાં ડાયાલિસિસની જરૂરવાળા કિડની દર્દીઓની સંખ્યા સહુથી વધુ રહી હતી.
યાદ રહે કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ રાજ્યના વિવિધ શહેરોમાં કિડનીના રોગીઓને શક્ય તેટલી નજીક ડાયાલિસિસ સેવાઓ મળી રહે તેવા હેતુસર સરકારી હોસ્પિટલોમાં ડાયાલિસિસની વ્યવસ્થા કરી છે.
સયાજી હોસ્પિટલમાં 13 જેટલા અદ્યતન ડાયાલાઈઝર યંત્રો ઉપલબ્ધ છે જે પૈકી કોરોના સારવાર વિભાગમાં 3 યંત્રોનું ખાસ એકમ બનાવવામાં આવ્યું છે. જ્યારે 10 યંત્રોની મદદથી ચેપમુકત વાતાવરણમાં નોન કોવિડ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં શુદ્ધ પાણીની જરૂર પૂરી કરવા પ્રત્યેક યંત્ર સાથે આર.ઓ. જોડવામાં આવ્યા છે.
ખૂબ ગંભીર દર્દીઓનું મોનીટરીંગ હેઠળ ડાયાલિસિસ થઈ શકે તે માટે આઇસીયુમાં પણ તેની સુવિધા રાખવામાં આવે છે. 1992માં મેડિસીન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.એમ.સી.પરમારે એક સહકારી બેંકની મદદથી, હિમોડાયાલિસિસની સુવિધા સયાજી હોસ્પિટલમાં શરૂ કરી તે પછી ચાર દાયકાથી અદ્યતન સેવા દર્દીઓને મળી રહી છે.
માનવ શરીરની કિડની એક કુદરતી ગરણી છે જે સતત શરીરમાં ફરતા લોહીમાંથી ક્રીએટીનીન, એમોનિયા, યુરિયા જેવી હાનિકારક અશુદ્ધિઓ ગાળીને શરીરને શુદ્ધ લોહીનો પુરવઠો પૂરો પાડે છે. માનવ શરીરની જ્યારે બંને કિડનીઓ આ કામ ના કરી શકે ત્યારે કૃત્રિમ ગરણી જેવા ડાયાલિસિસ યંત્રની મદદ લેવી પડે છે. હવે અન્ય વ્યક્તિ દ્વારા કિડની દાનનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
માનવ શરીરમાં અંદાજે 5000 ml લોહી હોય છે. ઉપરોક્ત યંત્ર પ્રતિ મિનિટ 200 થી 400 મિલી પ્રમાણે 15 થી 20 મિનિટમાં બધું લોહી શુદ્ધ કરીને શરીરને પાછું આપે છે. ડાયાલિસિસની એક સાયકલ લગભગ ચાર કલાકે પૂરી થાય છે. કિડનીના રોગની ગંભીરતા અનુસાર દર્દીને અઠવાડિયામાં એક વાર, આંતરે દિવસે ડાયાલિસિસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ગંભીરતા ખૂબ વધી જાય ત્યારે રોજ ડાયાલિસિસ કરાવવું પડે એવી સ્થિતિ પેદા થાય છે. એટલે અજોડ કિડનીની બેજોડ કાળજી લેવી એ શ્રેષ્ઠ ઉપાય છે.
આજે ડોક્ટર્સ ડે છે ત્યારે કોરોના કે નોન કોરોનાના ભેદ વગર કિડનીના રોગીઓની ડાયાલિસિસ સેવા કરતા ડો.અજય ડાભી અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત