Homeગુર્જર નગરીકોરોનાના શ્વાસ રૂંધાયાઃ 18 જિલ્લામાં શૂન્ય કેસ, રિકવરી રેટ 98.44 ટકાએ પહોંચ્યો

કોરોનાના શ્વાસ રૂંધાયાઃ 18 જિલ્લામાં શૂન્ય કેસ, રિકવરી રેટ 98.44 ટકાએ પહોંચ્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના વાઇરસ હવે વિદાય લઈ રહ્યો છે. દૈનિક કેસના આંકડાઓ પર નજર કરતાં ખ્યાલ આવી રહ્યો છે કે જો આમને આમ થોડા દિવસ ચાલશે તો ગુજરાતમાંથી કોરોના સંપૂર્ણ નાબૂદ થઈ શકે છે. આંકડાઓ જોતાં લાગી રહ્યું છે કે કોરોના હવે કાબુમાં આવી ચુક્યો છે. સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવામાં સફળ રહ્યું છે. આજના કેસની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 84 કેસ જ નોંધાયા છે. જ્યારે બીજી તરફ 300થી વધુ દર્દીઓને સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી છે. આજે 3 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

એક તરફ કોરોના કાબુમાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ રસીકરણમાં પણ સરકાર પૂરેપૂરી તાકાત લગાવી રહી છે. ગુજરાતમાં 40 ટકા લોકોને રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રસીકરણનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનામાંથી સ્વસ્થ થવાનો દર રાજ્યમાં 98.44 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 8,10,751 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં 2,84,791 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

રાજ્યમાં એક્ટિવ કેસ હવે 3 હજારથી પણ ઓછા થઈ ગયા છે. રાજ્યભરમાં હવે કોરોનાના માત્ર 2794 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2783 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી 10062 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થઈ ચુક્યા છે. આજના દિવસે ગુજરાતમાં 18 જિલ્લા એવા છે જેમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ સુરત અને અમદાવાદને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં કોરોનાનો આંક સિંગલ ડિજિટમાં નોંધાયો છે.

રાજ્યમાં આજે સૌથી વધુ 18 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સુરત શહેરમાં 11 કેસ નોંધાયા છે. સુરત અને વડોદરા જિલ્લામાં 5-5 કેસ, રાજકોટ અને વડોદરા શહેર, વલસાડ જિલ્લામાં 4-4 કેસ, 18 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે.

આજે રાજ્યમાં 244 હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે 8068ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી વધુ ઉંમરના 46,235 લોકોનો રસીનો પ્રથમ ડોઝ અને 75,669 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના કુલ 1,50,801 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 3774 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ આજે કુલ 2,84,791 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,59,62,782 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments