Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આફત બનીને આવેલા તૌકતે વાવાઝોડાના કારણે ખેતી પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. શાકભાજીના પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.
વાવાઝોડું અને કમોસમી વરસાદની સાથે ભારે પવનના કારણે ખેતરમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે. જેના કારણે શાકભાજી માર્કેટમાં પૂરતો જથ્થો આવી રહ્યો નથી જેના કારણે શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યા છે. રાજ્યમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. વાવાઝોડા પહેલાં શાકભાજીના જે ભાવ હતાં તેમાં હાલ 50 થી 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
વાવાઝોડા પછી ભાવમાં 50 થી 60 ટકાનો વધારો
સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આવતાં શાકભાજીમાં હાલ 50 થી 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાવાઝોડાના કારણે ખેતરમાં શાકભાજીના પાકને નુકસાન પહોંચતા હાલ માર્કેટમાં પૂરતા પ્રમાણમાં શાકભાજીની આવક થઈ રહી નથી. જેની અસર ભાવ પર પડી રહી છે. આ વખતે ઉનાળુ શાકભાજીની આવકમાં પણ મોટા ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં વાવાઝોડા અને કમોસમી વરસાદે શાકભાજીના પાકને બરબાદ કરી નાખ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ઉનાળુ શાકભાજીની માત્ર 10 થી 15 ટકા ફસલ જ બચી છે.
અમદાવાદમાં શાકભાજીના ભાવ
| શાકભાજી | જૂનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો) | હાલનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો) |
| ફ્લાવર | 60 | 100 |
| કારેલા | 60 | 108 |
| ટીંડોળા | 60 | 120 |
| ગુવાર | 40-50 | 120 |
સુરતમાં શાકભાજીના ભાવ
| શાકભાજી | જૂનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો) | હાલનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો) |
| ફ્લાવર | 60 | 100 |
| કોબીજ | 15 | 40 |
| ચોળી | 60 | 100 |
| કારેલા | 45 | 60 |
| તુરીયા | 70 | 120 |
| ગલકા | 25 | 40 |
| ગુવાર | 50 | 80 |
| સરગવો | 20 | 80 |
| ટામેટા | 20 | 25 |
| લીલા વટાણા | 80 | 120 |
| મરચા | 40 | 60 |
| ગાજર | 25 | 40 |
વાવાઝોડાના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવતા શાકભાજીમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર પડી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત