Team Chabuk-Gujarat Desk: તરસ જીવમાત્રને લાગે છે અને જેમ ઉનાળો આકરો થતો જાય તેમ વધુ લાગે છે. તેને અનુલક્ષીને વન્ય જીવ વિભાગ, વડોદરાએ જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્ય હેઠળના વિસ્તારોમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો પશુઓ માટે પાણીની પરબ ઊભી કરી છે.
આ વિભાગના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી તથા શિવરાજપુર રેન્જના વન અધિકારી આર.એન. પુંવાર વન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે.
જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જમાં ૧૩૦૦૦ હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરવામાં આવી છે જેની જાણકારી આપતાં એચ.ડી. રાઓલજી એ જણાવ્યું કે આ આખા વિસ્તારમાં જ્યાં ખૂબ અંતરિયાળ જગ્યાઓ છે ત્યાં બોર સાથે જોડેલી ૧૩ પવનચક્કીઓ બેસાડવામાં આવી છે. આ ચક્કી ચાલે તેની સાથે ડંકીનો દંડો ઊંચોનીચો થાય અને સાથેની કુંડી ભરાય છે. આ દુર્ગમ વિસ્તાર હોવાથી વાહન દ્વારા પાણી પહોંચાડવું અઘરું છે. એટલે આ વ્યવસ્થા આશીર્વાદ બની છે.રાજ્યના દક્ષિણના જંગલોમાં પવનચક્કી આધારિત ડંકી અને હોજ બનાવવાની શરૂઆત જાંબુઘોડા થી ૨૦૧૯ માં થઈ હતી.
ઉનાળામાં મુખ્યત્વે જંગલની અંદરના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે. આ બંને રેન્જમાં પાણી ભરવા માટે ૮૦ જેટલી કુંડીઓ, હવાડા અને ચેકડેમની કુંડીઓ બનાવવામાં આવી છે. ટ્રેકટર જોડેલા ટેન્કર વડે વારાફરતી આ હોજ અને કુંડીઓ ભરવામાં આવે છે. બંને રેન્જ પાસે એક એક ટ્રેક્ટર જોડેલી ટેન્કર છે. આ વિસ્તારમાં પક્ષી વિવિધતા છે અને પંખીઓ ને પણ આ વ્યવસ્થા થી પાણી મળી રહે છે.
જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્યત્વે દીપડો, ઝરખ, ભૂંડ, હરણ સહિતના વન્યજીવો છે. રતન મહાલમાં રીંછ અને દીપડા સહિત વન્ય પ્રાણીઓ છે. વન્ય જીવ વિભાગ આ જીવો પર આત્મીયતા રાખીને ઉનાળાની શરૂઆત થી જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે છે જે લગભગ ૧૫ મી જૂન એટલે કે કુદરતના ચક્ર પ્રમાણે નદી નાળાઓમાં નવા પાણીની આવક સુધી ચાલુ રહે છે. જીવદયા ને વરેલી રાજ્ય સરકાર આ રીતે પશુ પક્ષી અને વન્ય જીવોની પણ કાળજી લે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
