Homeદે ઘુમા કેIPL-14 પર કોરોનાનું ગ્રહણ, અનિશ્ચિતકાળ સુધી IPL મોકૂફ

IPL-14 પર કોરોનાનું ગ્રહણ, અનિશ્ચિતકાળ સુધી IPL મોકૂફ

Team Chabuk-Sports Desk:  આખરે ઈન્ડિયન પ્રિમિયર લીગને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના વાયરસના કારણે IPLની સિઝન-14 અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રાખવામાં આવી છે. વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ નિર્ણય સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધીમાન સાહાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આજે દિલ્લીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાવાની હતી.

તાજેતરમાં જ IPLમાં અલગ-અલગ ટીમના ખેલાડીઓ સંક્રમિત થયા છે. બાયોબબલમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. જે બાદ કોરોના સંક્રમણનો ભય વધતા આખરે BCCIએ IPL સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

આ મુદ્દે લીગના ચેરમેન બૃજેશ પટેલે PTIને કહ્યું હતું કે, ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમે આગામી સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરીશું પરંતુ આ મહિનામાં તેની કોઈ સંભાવના નથી.

ઉલ્લેખનીય છે કે, બાયોબબલ હોવા છતાં અલગ અલગ ટીમના કેટલાય ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે જ કેકેઆરના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના કારણે અમદાવાદમાં રમાનારી મેચ રદ કરી દેવાઈ હતી. આ ઉપરાંત પણ અનેક ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

સોમવારે ચેન્નઈ સુપરકિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતી બાલાજી તથા બસના કન્ડક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.કોરોનાકાળમાં IPL વિવાદોમાં આવી ચુકી છે. દિલ્લીમાં પણ આ મુદ્દે એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આઈપીએલ રદ કરવા માગણી કરી હતી.

આ પહેલાં પણ IPL પર સવાલો ઉઠી ચુક્યા છે. IPL-14માંથી ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડી નામ પરત ખેંચી ચુક્યા છે જેમાં એડમ જામ્પા, કેન રિચર્ડ્સન અને એન્ડ્રૂ ટાઈનું નામ સામેલ છે. 

અત્યાર સુધીમાં આઈપીએલની કુલ 29 મેચ પૂર્ણ થઈ છે. એટલે કે, હજુ ફાઈનલ સહિત કુલ 31 મેચ બાકી છે. આઈપીએલનું આયોજન મોકૂફ રખાતા કેટલાક દર્શકો નારાજ થયા છે જો કે, મોટાભાગના દર્શકોએ આ નિર્ણયને આવકાર્યો છે. હવે આગામી સમયમાં આઈપીએલની બાકી મેચોનું નવું ટાઈમટેબલ જાહેર કરાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments