Homeગામનાં ચોરે150 રૂપિયા આપીશ મારી સાથે નાટકમાં કામ કર...

150 રૂપિયા આપીશ મારી સાથે નાટકમાં કામ કર…

યુવા અવસ્થામાં ઓમ પુરી એક વકિલ સાથે કામ કરતા હતા. એ ગાળામાં તેમનું એક નાટક આવવાનું હતું. નાટકમાં પરફોર્મન્સ કરવા માટે સતત ત્રણ દિવસની રજા જોઈએ, જે માટે વકિલ ઓમને રજા આપવા માટે રાજી નહોતો. ઓમ પુરીએ તેને કહ્યું, ‘તમે કાલથી કોઈ બીજા વ્યક્તિને શોધી લેજો.’ અને ચાલ્યા ગયા.

કોલેજના છોકરાઓને આ વાતની ખબર પડી ગઈ. એમણે તુરંત પ્રિન્સિપલ પાસે જઈ ઓમે નોકરી છોડી દીધી હોવાની વાત કાનમાં નાખી. આચાર્યએ તુરંત પ્રોફેસરને બોલાવી કોલેજમાં નોકરી ખાલી હોય તો એક છોકરાને દાખલ કરવો છે એ અંગે કહ્યું.

પ્રોફેસરે લેબમાં સહાયકની જગ્યા ખાલી હોવાનું કહી દીધું. અધ્યાપકની સામે જ્યારે ઓમ પુરીનું નામ આવ્યું ત્યારે તેઓ ક્રોધિત થઈ ગયા.

‘એ છોકરાને ક્યાં કંઈ આવડે છે. તેને વિજ્ઞાન વિશે શું ખબર પડે ?’

આચાર્યએ વ્યંગ કર્યો, ‘અરે… પીળી શીશી આપો, લાલ બોટલ આપો, આવું તો કરી શકેને યાર.’

કેવા કેવા લોકો આવી જાય છે!

આ વાત નસીરુદ્દીન શાહે જણાવી હતી. તેમની અને ઓમ પુરીની એક તસવીર છે. NSDમાં અભ્યાસ કરતાં હતા એ સમયની અને એ તસવીર NSDમાં પણ રાખવામાં આવી છે. શબાના આઝમીએ બેઉંની તસવીરને જોઈ કહેલું, ‘આટલા ખરાબ થોબડાવાળા કેવી રીતે એક્ટર બની શકે ? હિંમત કેવી રીતે થઈ તેમની અહીં આવવાની.’

આર્મી મેન ઓમ

ઓમ પુરી શાળામાં હતા ત્યારે તેમણે ત્રણ નાટકોમાં કામ કર્યું હતું. નાટકમાં કે ફિલ્મમાં આ સિવાય તેમનું કોઈ યોગદાન ન હતું. વિચારી રાખ્યું હતું કે મોટો થઈશ તો ચોક્કસથી આર્મીમાં ઓફિસર બની જઈશ, પણ સપનાઓ ઉંમર વધતા બદલતા રહે છે. ઓમ પુરીનું સપનું પણ બદલીને અભિનેતા બનવાનું થઈ ગયું. પટીયાલાની કોલેજમાં યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો અને નાટક કર્યું. NSDમાં અભ્યાસ કરી ચૂકેલા હરપાલ ડિવાલાએ તેમને જોયા. તેમણે ઓમને તેમનું થીએટર જોઈન કરી લેવાની સલાહ આપી. ઓમે ના પાડી દીધી, કારણ માત્ર એટલું હતું કે, સવારે તેઓ નોકરી કરતાં અને સાંજના કોલેજ ભણવા માટે જતા હતા.

હરપાલે પૂછ્યું, ‘શેની નોકરી કરે છો ?  

‘કોલેજમાં લેબ આસિસ્ટન્ટની…’ સામેથી ઓમનો જવાબ મળ્યો.

‘કેટલા રૂપિયા આપે છે ?’

‘125 રૂપિયા’

‘મારી સાથે નાટકોમાં કામ કર, હું 150 રૂપિયા આપીશ. સાંજનું તારું ભણવાનું પણ ચાલુ રહેશે.’

18 ઓક્ટોબર જન્મતારીખ શા માટે ?

બર્થ સર્ટિફિકેટ ન હોવાના કારણે ઓમ પુરી આ ધરતી પર ક્યારે અવતર્યા તેની કોઈને પણ ખબર નથી. તેમની માતાએ તેમને કહ્યું હતું, કે તેમનો જન્મ દશેરાના બે દિવસ પહેલા થયો હતો. ઓમ પુરીએ સ્કૂલમાં જવાનું શરૂ કર્યું ત્યારે તેના કાકાએ તેમની જન્મ તારીખ 9 માર્ચ 1950 લખી નાખી. મુંબઈ ઓમ પુરીની પધરામણી થઈ તો તેમણે એમની માતાએ કહ્યું હતું, એ રીતે દશેરાના બે દિવસ પહેલા, 18 ઓક્ટોબર 1950ની તારીખ કરી નાખી. આજે એમનો જન્મદિવસ છે.

પરિવારનું ભરણપોષણ કરવા માટે તેઓ એક દુકાનમાં કામ કરતા હતા. જ્યાં એમના પર ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. ચોરીના આરોપસર તેમને દુકાનમાંથી કાઢી મુકવામાં આવ્યા. બાળપણમાં ઓમ પુરી જે મકાનમાં રહેતા હતા તેની પાછળ એક રેલવે યાર્ડ હતું. રાતે ઓમ પુરી ઘરેથી ભાગીને કોઈ ટ્રેનની અંદર ઉંઘવા ચાલ્યા જતા હતા. ટ્રેનમાં સુતા સુતા એક સ્વપ્ન સેવેલું કે મોટા થઈ ટ્રેનનું ડ્રાઈવર બનવું છે.

માંસાહારીમાંથી શાકાહારી બન્યા

ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ સતત 40 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કડવાહટ વિના મિત્ર રહ્યા. એમની દોસ્તી NSDના સમયે થઈ હતી. જ્યારે તેઓ એક સાથે ભણતા હતા. આ વાત ઓમ પુરીએ ખૂદ કહેલી કે, એ નસીરુદ્દીન શાહ જ હતા જેમણે તેમને માંસાહારીમાંથી શાકાહારી બનાવ્યો. NSD બાદ નસીરુદ્દીન શાહે FTIIમાં એડમિશન લઈ લીધું. ઓમ પુરી ન લઈ શક્યા, કારણ કે તેમની પાસે ફી ભરવાના પૈસા ન હતા. આ વાતની ખબર ઓમ પુરીની સાથે NSDમાં ભણતી એક જૂનિયર છોકરીને પડી ગઈ. તેણે એક મિત્રને કહી ઓમ પુરીને મહિને 300 રૂપિયાની લોન આપવાનું કહ્યું.

મોતી અને રંગીલો સ્વભાવ

ઓમ પુરીને જાનવરો સાથે ખૂબ પ્રેમ હતો. એમના ઘરની બહાર એક સફેદ કલરનો રખડતો કૂતરો હતો. જેને તેમણે પાળ્યો અને તેનું નામ મોતી રાખેલું. NSDમાં ઓમ ખૂબ રંગીલા સ્વભાવના હતા. છોકરીઓને પટાવવા માટે તેઓ ફૂલ અને મીઠાઈ આપતા રહેતા હતા.

અવાજના બેતાજ બાદશાહ

એમનો અવાજ ખતરનાક હતો. હિન્દુ વેબસાઈટમાં ઓમ પુરી પર નમ્રતા જોશીએ તેમને કોમન મેનના અવાજ તરીકે મૂલવ્યા છે. ‘‘હું તેમનો મજબૂત અવાજ કોઈ દિવસ ભૂલી નહીં શકું. 1983માં અનંત વેલનકરના પાત્રમાં તેમણે નિભાવેલો રોલ જેમાં તેઓ દિલીપ ચિત્રેની કવિતા વાંચી રહ્યા છે. અને ધીમે ધીમે એ કવિતામાં રહેલો ગૂઢ અર્થ આપણને સમજાય છે.’’ ઓમ પુરીના અવાજમાં એ કવિતા યુટ્યુબ પર ઉપલબ્ધ છે, પણ તમે પહેલા તમારા અવાજમાં વાંચો.

चक्रव्यूह में घुसने से पहले,
कौन था मैं और कैसा था,
ये मुझे याद ही न रहेगा.

चक्रव्यूह में घुसने के बाद,
मेरे और चक्रव्यूह के बीच,
सिर्फ एक जानलेवा निकटता थी,
इसका मुझे पता ही न चलेगा.

चक्रव्यूह से निकलने के बाद,
मैं मुक्त हो जाऊं भले ही,
फिर भी चक्रव्यूह की रचना में,
फर्क ही न पड़ेगा.

मरूं या मारूं,
मारा जाऊं या जान से मार दूं,
इसका फैसला कभी न हो पाएगा.

सोया हुआ आदमी जब,
नींद से उठकर चलना शुरू करता है,
तब सपनों का संसार उसे,
दोबारा दिख ही न पाएगा.

उस रोशनी में जो निर्णय की रोशनी है,
सब कुछ समान होगा क्या?

एक पलड़े में नपुंसकता,
एक पलड़े में पौरुष,
और ठीक तराजू के कांटे पर,
अर्धसत्य.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments