Team Chabuk-Gujarat Desk: અમદાવાદ આયેશા આત્મહત્યા કેસ મુદ્દે દિવસેને દિવસે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલ આયેશાનો પતિ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન તેણે કબુલાત કરી છે કે, તે લગ્ન બાદ આયેશા સાથે મારઝુડ કરતો હતો. આરીફે ખુદ કબુલ્યું છે કે, એકવાર ઝઘડો થયા બાદ તેણે ગુસ્સામાં આયેશાને ચારથી પાંચ લાફા માર્યા હતા. આ દરમિયાન આયેશાને આંખમાંથી લોહી નીકળી ગયું હતું. એટલું નહીં તેણે એ પણ કબુલ્યું છે કે, આત્મહત્યા પહેલાં તેણે જ આયેશાને વીડિયો બનાવવા કહ્યું હતું અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આયેશાનો પરિવાર દહેજની પણ માગણી કરતો હતો. ઘરમાં કોઈ વસ્તુની કમી ન હોવા છતાં દહેજ ભૂખ્યો પરિવાર આયેશાને હેરાન કરતો હતો. રાજસ્થાનના ઝાલોરમાં આરીફનું ભવ્ય મકાન છે. ઉપરાંત ચાર જેટલી દુકાનો પણ છે જેને ભાડા પર આપી છે. આ દુકાનોમાંથી તગડુ ભાડું પણ વસૂલે છે. આરીફ અને તેના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યાંથી તેમને સારો પગાર પણ મળે છે છતાં તેમની દહેજની ભૂખ જેમની તેમ હતી. આરોપ છે કે, અવારનવાર આરીફ રૂપિયાની માગણી માટે આયેશાને દબાણ કરતો હતો.
આયેશાને આપઘાત કરવા મજબૂર કરનારા પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ સકંજો કસાયો છે. જો કે, રિવરફ્રન્ટ પોલીસના સકંજામાં આવ્યા બાદ પણ તે મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપી રહ્યો ન હતો. પરંતુ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં આરોપી આરીફનો મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે. મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો તેની વિગતો પણ સામે આવી છે. સાથે જ ખુલાસો થયો છે કે, તેણે આયેશા સાથે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરીએ આઇશાએ આપઘાત કરતાં પહેલાં બંને વચ્ચે 72 મિનિટ વાત થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસ આરોપી આરીફનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલ્યો છે. એફ.એસ.એલમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
આયેશાનો આત્મહત્યા પહેલાનો વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. જે પણ લોકો આયેશાનો વીડિયો જોઈ રહ્યા છે તે આરીફની ટીકા કરી રહ્યા છે અને આયેશાને ન્યાય મળે તેવી માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ આયેશાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હસતાં-હસતાં મોતને વ્હાલુ કરી લે છે. બીજી તરફ આયેશાનો પરિવાર હજુ સુધી શોકમાંથી બહાર નથી આવી શક્યો. પોતાની લાડકવાયી દીકરીને ગુમાવ્યાનું દુઃખ એટલી હદે છે કે હવે તેમની આંખોમાં આંસુ પણ ખુટી પડ્યા છે. પરિવારની દિવસ અને રાત રડી રડીને પસાર થઈ રહી છે. આયેશાના પરિવારની એક જ માગણી છે કે તેમની પુત્રીને ન્યાય મળે. આરીફને કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે જેથી બીજી કોઈ આયેશાને આત્મહત્યા ન કરવી પડે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત