Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મનપાની ઘોર બેદરકારીને કારણે યુવકનું મોત થયું છે. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ ડાઇવર્ઝન મૂકવામાં ન આવતાં બાઇકચાલક યુવક ખાડામાં પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું પણ ભરાઈ ગયું હતું. પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામનાર યુવકનું નામ હર્ષ દાવડા છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી રિક્ષામાં સરકારી હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર હર્ષ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો, જેને ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
હર્ષના પિતા અશ્વિનભાઈ ચોધાર આંસુએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મારો દીકરો સવારે જોબ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફોન આવ્યો કે બાઇકના વ્હિીલની ટ્યૂબ ફાટી ગઈ છે તો ટ્યૂબ નખાવવી પડશે, આથી ટ્યૂબ નખાવ્યાની 15 મિનિટ પછી મારા પર ફોન ન આવ્યો, આથી મેં રિપીટ ફોન કર્યો તો રિસીવ ન થયો. થોડીવાર પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તમારા દીકરાનો ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો છે.
અશ્વિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આથી હું તાત્કાલિક ગયો અને ત્યાં જઈને જોયું તો દીકરો ખાડામાંથી બહાર પડ્યો હતો. 108 પણ હતી, તેમણે મને કહ્યું કે હવે તમારો દીકરો જીવતો નથી. બાઇક ખાડામાં પડી હતી. આજુબાજુ પૂછ્યું તો ખાડામાંથી તમારા દીકરાને બહાર કાઢ્યો છે, તમારા દીકરાના કાનમાંથી લોહી નીકળ્યું હતું અને એને કારણે તેનો જીવ ગયો હશે એવું એ લોકોએ કહ્યું હતું. બાકી કોઈ વિગત તે લોકોએ જણાવી નથી. મને પણ છાતીમાં દુખાવો થતાં સિવિલમાં ઇમર્જન્સી વોર્ડમાં આવ્યો છું.
આ ગંભીર ઘટનાને લઈને રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે સિટી એન્જિનિયરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ પર ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા સેફ્ટી રિબિન લગાવવામાં આવી હતી. અન્ય સેફ્ટીનાં સંશાધનોની જરૂરિયાત હતી કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવશે. સમગ્ર બનાવમાં એજન્સીની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ગડર લોન્ચિંગને કારણે ખાડો કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
