Team Chabuk-Gujarat Desk: દોઢ મહિના પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામનો એક યુવક પોતાની પત્ની, બહેન-બનેવી અને માતા સાથે અંબાજીનાં દર્શને ગયો હતો. અહીં અચાનક પત્નીની તબિયત લથડતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. જોકે આ મૃત્યુએ બાદમાં આશ્ચર્યજનક રીતે કરવટ લીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે પરિણીતાનું ગળું દબાવી તેની કરપીણ હત્યા નિપજાવી નાખવામાં આવી છે. અંતે પિતાએ આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ તો આ કેસ ગુજરાતમાં હાઈપ્રોફાઈલ બન્યો છે.
પરણિતાનું મોત
સાત જાન્યુઆરીના રોજ જોલી નીતિન પટેલ અને તેની પત્ની રુચિકા પોતાના બહેન અને બનેવી તેમજ માતાની સાથે અંબાજી ફરવા માટે ગયા હતા. અહીં માઉન્ટ આબુ ખાતે આવેલી એક હોટલમાં તેમણે ઉતરાણ કર્યું હતું. 10મી જાન્યુઆરીના રોજ પતિ જોલીએ રુચિકાના પરિવારના લોકોને અવગત કર્યા હતા કે બાથરૂમમાં ચક્કર આવવાના કારણે તેણી પડી ગઈ છે અને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
આકસ્મિક રીતે આવા સામાચાર મળતા પિતા અને રુચિકાના બંને ભાઈ ડઘાઈ ગયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે દોઢ મહિના બાદ રુચિકાની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા સૌ ચકિત્ત થઈ ગયા છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે તેણીનું મોઢું દબાવી મોઢામાં ઝાડના પાન નાખી હત્યા થઈ હતી. જેથી રુચિકાના પિતા હરીશભાઈએ આબુ પેલીસમાં જમાઈ જોલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રુચિકાના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બહેનની હત્યાનું કારણ કોઇપણ સંજોગે બહાર લાવીશું.
ચોંકાવનારી પોસ્ટમોર્ટમ રિપોર્ટ
વલસાડ જિલ્લાના ઉમરગામમાં રહેતા 32 વર્ષીય જોલી પટેલના 28 વર્ષીય રુચિકા સાથે ઘટના બની તેના 28 દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટે સૌને સ્તબ્ધ કરી દીધા હતા. રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે રુચિકાના શરીરનાં તમામ ઓર્ગન બરાબર કામ કરી રહ્યા હતા. મહિલાની નાની ડાળખીથી ગળું દબાવી હત્યા નીપજાવવામાં આવી હતી. મૃતકના મોઢાથી લઈને ગળા સુધી ઝાડના એક મુઠ્ઠી પાંદડા ભર્યાં હતા. જેથી તેણી શ્વાસ ન લઈ શકે. રુચિકાનું પ્રથમ ઝાડની ડાળીથી ગળું દબાવવામાં આવ્યું હતું, બાદમાં તકિયા જેવી વસ્તુથી મોઢું દબાવવામાં આવ્યું હતું. એ પછી હાથથી પણ ગળું દબાવવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
