Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની ચકચારી હત્યાએ સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. આરોપી વિનોદ મરાઠીની (વિનોદ ગાયકવાડ) પોલીસે ગણતરીની કલાકોમાં ઈન્દોર-દાહોદ બોર્ડર પરથી ધરપકડ કરી હતી. મરાઠીએ પત્નીના આડા સંબંધોના કારણે તેનું કાસળ કાઢી નાખ્યું હતું. હત્યાના દિવસે હત્યારા વિનોદ મરાઠીએ સૌ પ્રથમ પોતાના પુત્રને શ્રીખંડ લેવા માટે અને પુત્રીને ગુટખા લેવા માટે બહાર મોકલ્યા હતા. બાદમાં રૂમમાં લઈ જઈ પત્નીની આંખે પાટો બાંધી આજે તને સરપ્રાઈઝ આપું છું કહી છરા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યારો અહીંથી જ નહોતો અટક્યો. તેણે પુત્ર, પુત્રી અને વડસાસુની હત્યા પણ કરી હતી.
પત્ની, બે સંતાનો અને વડસાસુની હત્યા કર્યા બાદ આરોપીએ પોતાની સાસુને પણ ફોન કરી હત્યા કરવાના ઈરાદે બોલાવી હતી. જોકે આરોપીને એમના પર દયા આવી જતાં ગળે ઘસરકો કરી કોઈને આ વાત કહેતા નહીં એવી ધમકી ઉચ્ચારી પોતાના વાહનમાં બેસાડી ઘરે મૂકી આવ્યો હતો. બાદમાં હત્યામાં વપરાયેલો છરો ફેંકી સુરત ભાગી ગયો હતો.

જો આરોપી પોલીસના હાથમાં ન આવ્યો હોત તો હજુ પણ એક ખૂન કરવાનો હતો. પરિવારની નિર્મમ હત્યા કર્યાં બાદ વિનોદ અહીંથી સુરત ગયો હતો અને હોટલમાં ઉતારો કર્યો હતો. બાદમાં પત્નીનું મંગળસૂત્ર વેચી પૈસા લઈ તેણે પત્નીના પ્રેમીની હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ પોલીસ પકડી લેશે એ બીકના કારણે તે ઈન્દોર જતી બસમાં બેસી ગયો હતો અને ભાગી ગયો હતો. જ્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમાએ કહ્યું હતું કે તેની પત્ની સોનલને દોઢ વર્ષથી એક યુવક સાથે અનૈતિક સંબંધ હતા. જેથી વારંવાર ઝઘડો થતો હતો. આરોપીએ આ કારણે હત્યાનું ષડયંત્ર ઘડ્યું.
વિનોદ મરાઠીને પત્નીના આડા સંબંધોની તેના પુત્રએ બાતમી આપી હતી. પત્ની સોનલ ખાનગી કંપનીમાં કામ કરવા જતી હતી. તેને મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા એક યુવાન સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. એક વખત તેમનો પુત્ર માતાને અન્ય પુરુષની સાથે ખરાબ સ્થિતિમાં જોઈ ગયો હતો અને તેણે આ અંગેની માહિતી પોતાના પિતાને આપી હતી. આ ઘટના બાદ વિનોદ અને સોનલની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અંતે તેણે પત્નીનું ઢીમ ઢાળી નાખવાનું કાવતરું ઘડ્યું. આરોપી વિનોદ મરાઠીએ પોલીસના હાથે પકડાયા બાદ ઠંડા કલેજે કહ્યું હતું કે મને ચાર હત્યા કર્યાંનો કોઈ પ્રકારનો અફસોસ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
