Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામની સીમમાં માતાજીના મંદિરે પોતાની દીકરીની બલી ચડાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડિયાર માતાજીના મંદિરે ગજેરા પરિવારની એક દીકરીને તેના જ પિતા અને પરિવાર દ્વારા દીકરીમાં મેલી વિદ્યા હોવાનું કહીને તેના હાથ આગમાં નખાવીને અંગારા પર ચલાવી હતી અને બલી ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે માતા પોતાની દીકરીઓને લઈને ત્યાંથી ભાગી જતાં દીકરીનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે પીપળી ગામની ગજેરા પરિવારની પુત્રવધુ પોતાના પતિથી છેલ્લા સાત વર્ષથી અલગ રહે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. દીકરીઓ પણ માતાની સાથે જ રહે છે. ત્યારે પીપળી ગામે ગજેરા પરિવારે માતાજીના હવનનું આયોજન કર્યું હોય પુત્રવધુને પણ આમંત્રણ આપ્યું હતું. તેથી આ મહિલાએ તેની બે દીકરીને બે દિવસ પહેલા પીપળી ગામે મોકલી હતી અને ત્યારબાદ અન્ય એક દીકરી સાથે તેઓ બાદમાં પીપળી ગામે પહોંચ્યા હતા. મંદિરે પહોંચ્યા બાદ તેમની સગીર દીકરીને બે દિવસ ભુખી રાખવામાં આવી હતી. ત્યાં હાજર ભુવા અને દીકરીના પિતા, ફોઈ અને અન્ય પરિવારજનોએ કહ્યું હતું કે દીકરીની અંદર પ્રેત આત્મા છે. તેથી તેને બે દિવસ ભુખી રાખવામાં આવી અને હાથમાં કોલસા આપ્યા અને ખુલ્લા પગે આગમાં ચલાવવામાં આવી.
દીકરી સાથે આ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાથી માતાએ તેનો વિરોધ કર્યો અને બચાવવા જતાં માતાને પણ પરિવારજનોએ માર માર્યો. તેથી મહિલા જીવ બચાવવા તેમની દીકરીઓને લઈને ત્યાંથી ભાગી ગઈ અને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચી. ત્યાં પોતાની 13 વર્ષની દીકરીને સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટના મામલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, મને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઈ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં જરૂર પડ્યે ચોક્કસ રજૂઆત પણ કરવામાં આવશે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક સજા કરવામાં આવશે અને લોકોએ સ્વયંભૂ પણ જાગૃત થવાની જરૂર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
