Team Chabuk-Gujarat Desk: ચોરી કરવી એ ગુનો નથી પણ ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે! આ વાક્ય ક્યાંક ને ક્યાંક આપના ધ્યાનમાં આવ્યું જ હશે. ચોરો વિચારતા હોય છે કે જ્યાં ધાડ પાડીએ ત્યાં કોઈ પ્રમાણ ન મૂકીએ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક વિચિત્ર બનાવના પોલીસ અને જેમના ઘરમાં ચોરી થઈ એ પરિવારજનો સાક્ષી બન્યા છે. અહીં ચોરોએ ચોરી કર્યા બાદ કાગળમાં લખીને ગયા કે ચોરોથી સાવધાન અને પાછા ભણેલ ગણેલ ચોરો નીચે પોતાની હયાતીના હસ્તાક્ષર પણ કરતા ગયા હતા. ચોરો ઘરમાંથી કુલ તેર હજારની કિંમતનો અસબાબ ચોરી ગયા છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આણંદના ઉમરેઠ તાલુકાના મોઢવાળા તુળજા માતાના મંદિરની નજીક પ્રશાંતભાઈનું મકાન આવેલું છે. મકાન બંધ છે, કારણ કે પ્રશાંતભાઈ છેલ્લા વીસ વર્ષથી વિદ્યાનગરમાં રહે છે. આઠમના દિવસે તેઓ આ ઘર પર પરિવારની સાથે આવ્યા હતા. પ્રથમ સંબંધીને ત્યાં રોકાયા અને બાદમાં પોતાના ઘરે ગયા તો ત્યાં તાળું તૂટેલું નજરે પડ્યું હતું.

ચિંતામાં ગરકાવ થતાં પરિવારજનોએ મકાનની અંદર જોયું તો તાંબા-પિત્તળ અને ચાંદીના વાસણો અને મૂર્તિઓ ગાયબ હતી. આશ્ચર્યની વાત એ હતી કે ચોરોએ હાથફેરાની કરામત કરી એજ્યુકેટેડ હોવાનો પૂરાવો આપતી ચબરખી પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે ચોરોથી સાવધાન!

ચોરોએ મકાન માલિક તેમની લિપિ ધ્યાનથી ઉકેલી શકે તેનું પણ ધ્યાન રાખ્યું હતું. સૌ પ્રથમ લખ્યું ચોરોથી સાવધાન પણ એ ખૂબ નાના અક્ષરે હોય તેના પર ચેકો મારી મોટા અક્ષરે લખ્યું હતું. નીચે આઠડાની મુદ્રામાં પોતાના હસ્તાક્ષર કર્યાં હતા. પોલીસે ચોરીનું આ પ્રમાણ કબ્જે કરી કેસ ઉકેલવાની દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા છે. ઉમરેઠમાં બે ત્રણ ખોરડાઓ તૂટ્યા હોવાથી અને ‘ચોરોથી સાવધાન’ની ચોરો ચબરખી પણ મૂકી ગયા હોવાથી મકાન માલિકોને આસપાસના લોકો પર જ સંશય થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત