Homeગુર્જર નગરીપોરબંદર: ફેક્ટરીમાં થયેલા અકસ્માત પર અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ‘અધિકારીની મીલી ભગતના કારણે...

પોરબંદર: ફેક્ટરીમાં થયેલા અકસ્માત પર અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ‘અધિકારીની મીલી ભગતના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે…’

Team Chabuk-Gujarat Desk: પોરબંદર અને સોમનાથ હાઈવે પર આવેલી નિરમા ગ્રુપ સંચાલિત ફેક્ટરીમાં કામગીરી દરમ્યાન બકેટ તૂટી જવાના પરિણામે બે મજૂરોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. મૃતકમાં એન્જિનિયર હિરેન પ્રભુદાસ અગ્રાવત અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. દોઢ મહિનામાં કંપનીમાં આ ત્રીજી વખત બન્યું છે. ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં છે. હવે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ ઘટનાને લઈ આકરા પ્રકાર કર્યાં છે.

advertisement-1

તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી, સરકારના લેબર ડીપાર્ટમેન્ટ અને ફેક્ટરી એક્ટ અંતર્ગત નિમાયેલ કમ્પેટેટીવ અધિકારીની મીલી ભગતને લઈ આક્ષેપ કરતા કહ્યું કે, પોરબંદરમાં નિરમા ગ્રુપ સંચાલીત સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું અને ત્રણ ઘાયલ થયા છે. ગંભીર બેદરકારીના કારણે ફેક્ટરીમાં આ ચોથો અકસ્માત છે. ફેક્ટરીમાં સેફ્ટી માટેના સાધનો નથી, લેબર ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પણ નથી, ઉપરાંત સરકારના લેબર ડીપાર્ટમેન્ટ અને ફેક્ટરી એક્ટ અંતર્ગત નિમાયેલ કમ્પેટેટીવ અધિકારીની મીલી ભગતના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે અને નિર્દોષ કામદારોના મોત થાય છે.

અર્જુન મોઢવાડિયાએ વારંવાર થતાં અકસ્માત અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાઓની સિસ્ટમના કારણે માત્ર કાગળ ઉપર કાર્યવાહી થાય છે. જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને જાનહાની થાય છે, સાથે સાથે આવી ઘટનાઓને છાવરાવા માટે રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓ અને ફેક્ટરીના સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે ફેક્ટરી 90 દિવસ માટે બંધ કરાવી રોજમદારોની રોજગારી ઉપર તરાપ મારી છે.

સર્જાયેલી દુર્ઘટનાને લઈ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આ બાબતે ઉચ્ચકક્ષાની તપાસ યોજે, ફેક્ટરી ચાલુ રાખવામાં આવે અને ફેક્ટરીમાં સેફ્ટીનો ઓડિટ કરાવવામાં આવે. ઓડિટમાં જે ખામીઓ સામે આવે તેમાં તત્કાલીક સુધારો કરાવવામાં આવે. તેમજ નિરમા ગ્રુપ પાસે સેફ્ટી અને લેબર સેલના અધિકારીઓની નિમણૂંક કરાવે.

advertisement-1

આ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા પર દુર્ઘટનાને લઈ સરકારને સવાલ પૂછ્યો હતો કે, મારો રાજ્યની ભાજપ સરકારને સીધો પ્રશ્ન છે કે મજુર સેફ્ટીના આટલા કડક કાયદાઓ અમલમાં હોવા છતાં એવી કઈ મજબુરી છે કે, ફેક્ટરી સંચાલકોની મનમાની સામે આંખો બંધ કરી દેવામાં આવે છે? કેમ ફેક્ટરી સંચાલકોને નિર્દોષ મજુરોના જીવ સાથે રમત રમવાનો ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે? તાકીદે તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવા અને ભોગ બનનાર મજુરોના પરિવારને રૂપિયા ૧૦ લાખનું અને ઘાયલો ને મફત સારવાર અને રૂપિયા ૩ લાખની સહાય આપવાની વિનંતિ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments