Team Chabuk-Gujaart Desk: કોઈ પણ વ્યક્તિનું જ્યારે મોત થાય છે ત્યારે નજીકની વ્યક્તિઓ અંદરથી ભાંગી જતી હોય છે. એમને દિલાસો આપવા માટે અન્ય મનુષ્યો હોય છે. પરિવારજનો થોડા દિવસ રોકાય છે, પાડોશીઓ સથવારો આપે છે, મિત્રો આવે છે જાય છે, લોકો તેની લાગણી સમજે છે એમ માની તેઓ કરુણાંતિકામાંથી ઉગરી જાય છે, પણ બિચારા અબોલા પ્રાણીઓનું શું? જેમણે નિ:સ્વાર્થ રીતે પોતાના માલિકને પ્રેમ કર્યો હોય. આવી જ એક ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બની છે. જ્યાં માલિકના વિરહમાં તડપતો શ્વાન મૃત્યુ પામ્યો.

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં કૂતરા અને માલિક વચ્ચેનો ઘનિષ્ઠ સ્નેહ સામે આવ્યો છે. અહીં માલિકનું હ્રદયરોગના હુમલાના કારણે મોત થઈ જતાં કૂતરાએ તેના વિરહમાં ભોજનનો ત્યાગ કર્યો હતો. અંતે કૂતરો પણ મૃત્યુ પામતા પરિવારજનો ઉપર બેવડો માર લાગ્યો છે. કૂતરાની આ વફાદારી અને તેના પ્રાણત્યાગની વાત સાંભળ્યા બાદ તો આસપાસના લોકો પણ વિસ્મયમાં ગળાડૂબ થઈ ગયા છે. એક અબોલું પ્રાણી પોતાના માલિકની વિદાયને કારણે અંદરથી તૂટી જઈ, આ હદ સુધી જઈ શકે તેવી લોકોને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી.

આ કૂતરાનું નામ ટોમી છે. પરિવારના જ સભ્યનું કહેવું છે કે, પ્રવીણભાઈ રાઠોડના નિધન બાદ જ્યારે તેમની અંતિમયાત્રા નીકળી હતી તો ટોમી ખૂબ ભસ્યો હતો. ટોમીએ પોતાના માલિકના વિરહમાં અન્નજળનો ત્યાગ કર્યો હતો. ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા, પણ આખરે કંઈ સારાવાના થઈ નહોતા શક્યા. પ્રવીણભાઈએ જર્મન જાતના આ ગલુડિયાંને નાનામાંથી મોટું કર્યું હતું. જેથી બેઉં વચ્ચે લાગણીનો સેતુ રચાયો હતો. લાગણીનો એ સેતુ તૂટ્યો પણ બંનેના નિધનની સાથે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત