Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકે બાઈક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા જેમાં બાઇક સવાર પિતા-પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું. અકસ્માત એટલો ગંભીર હતો કે 16 વર્ષના પુત્રના બંને પગ અલગ પડી ગયા હતા. ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા તો બીજી તરફ પિતાનું માથું છુંદાઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ પિતા-પુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન કાળમૂખા ટ્રકે અડફેટે બંનેના જીવ લઈ લીધા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લીધા હતા. ટ્રકની ટક્કરથી પિતા-પુત્ર રોડ પર ફંગોળાઇ ગયા હતા. આ દરમિયાન જ 16 વર્ષના અરુણની કમરથી નીચેના ભાગ પરથી ટ્રકનાં પૈડા ફરી વળ્યા હતા અને એટલો ભાગ ત્યાંજ લોહીલૂહાણ લાતમાં છૂટો પડી ગયો હતો.
બનાવની જાણ પરિવારને થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.આ બનાવ બનતાં ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પડેલી ટ્રક કબજે કરી હતી. એ સાથે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત