Homeગુર્જર નગરીભાજપના ધારાસભ્યએ કહ્યું, ‘વર્તમાન સરકારે છેવાડાના માનવીના વિકાસમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં...

ભાજપના ધારાસભ્યએ કહ્યું, ‘વર્તમાન સરકારે છેવાડાના માનવીના વિકાસમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે’

Team Chabuk-Gujarat Desk: પોરબંદર નર્સિંગ સ્કૂલ ખાતે વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં ચાર સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ ઉદ્ઘાટનના ભાગરૂપે આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્યના હસ્તે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, નર્સિંગ સ્કૂલ તથા લેડી હોસ્પિટલ ખાતે પી.એસ.એ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉપરાંત કોરોના પ્રતિરોધક રસીકરણમાં ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦ ટકા રસીકરણ કરેલા ૧૫ ગામોનાં સરપંચોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત કોરોના કાળમાં મહત્વની કામગીરી કરનાર ૨૦ કોરોના વોરિયર્સનું મહાનુભાવોએ પ્રમાણપત્ર પાઠવીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા કહ્યું હતું કે, કોરોના કાળમાં કોરોના વોરિયર્સે સમગ્ર પોરબંદર જિલ્લામાં ખુબ જ સરસ કામગીરી બજાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામે ચાલીને કોરોનાની રસી મુકાવે તે માટે ૧૫ ગામોનાં સરપંચોએ જહેમત ઉઠાવીને ૧૦૦ ટકા લોકોનું રસીકરણ કરાવ્યું છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનહિતલક્ષી વિવિધ સેવાયજ્ઞોની ઝાંખી કરી કહ્યું હતું કે, વર્તમાન સરકારે છેવાડાના માનવીના વિકાસમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. કોરોના કાળમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર, પૂરતું ઓક્સિજન પૂરું પાડવાની સાથે જરૂરી તમામ સારવાર વિનામૂલ્યે પૂરી પાડી છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે લડવા આગોતરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લામાં ચાર ઓક્સીજન પ્લાન્ટના ઉદ્ઘાટનકરવામાં આવ્યા છે.

કલેકટર અશોક શર્માએ આ પ્રસંગે કોરોનાની સંભવીત ત્રીજી લહેરની ગંભીરતાથી ઉપસ્થિત તમામને માહિતગાર કરી, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તથા કોરોના પ્રતિરોધક રસી મુકાવવા અપીલ કરી હતી. કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયેલા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે તેમ જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ પોરબંદર જિલ્લામાં કોરોના વોરિયર્સની ઉત્તમ કામગીરીને બિરદાવીને કહ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે લડવા જિલ્લા તંત્ર સજ્જ છે. સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ, કોવીડ કેર સેન્ટર, સંક્રમિત દર્દીઓ માટે બેડની સુવિધા આગોતરી તૈયારીના ભાગરૂપે કરવામાં આવી છે.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટભાઇ મોઢવાડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી  એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે,  નિલેશભાઇ મોરી, પંકજભાઇ મજેઠીયા, અશોકભાઇ મોઢા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, ડોકટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, આંગણવાડીની બહેનો, આશા વકર્સ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાવિધિ ડો અલકાબેન કોટકે કરી હતી. તથા સંચાલન નિરવભાઇ જોષીએ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments