શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથ જિલ્લાના પીઢ રાજકીય નેતા રાજશીભાઈ જોટવાના પુત્રનું એક મહિના પહેલાં દુઃખદ અવસાન થયુ હતું. સ્વર્ગસ્થ મયુર જોટવા આદ્રી ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા યુવા ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હોવાની સાથે મળતાવળા સ્વભાવને કારણે નાના બાળક થી લઈ યુવાઓ, વૃદ્ધ અને ગરીબોમાં પણ તેમની ખુબ લોકચાહના હતી. તેમના અવસાનથી સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. અને આદ્રી ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એમની પ્રથમ માસિક પુણ્યતિથિએ આદ્રી ગ્રામપંચાયત અને મહાકાળી ગૌશાળા આદ્રી દ્રારા ગામમાં આવેલી વી.આર.જોટવા બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
જૂનાગઢ અને વેરાવળના નામાંકિત ડોક્ટરોની સેવા લઈ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગ્રામીણ વિસ્તારના એક હજારથી પણ વધુ દર્દીઓએ દિવસભર તેનો લાભ લીધો હતો. ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સ્થિત આવેલી બ્લડબેન્ક દ્વારા થેલેસેમિયા અને કેન્સરથી પીડાતા દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. યુવા મીત્ર અને પૂર્વ સરપંચને રક્ત દાન મહાદાન રૂપી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આદ્રી ગામના યુવાનોએ ખુબ મોટી સંખ્યા રક્તદાન કર્યું હતુ અને 125 બોટલ જેટલું રક્તદાન થયું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈએ પનોતા પુત્રને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરી પોતાના વતન એવા આદ્રી ગામ દ્રારા તેમના પુત્ર મયુરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલા ભગીરથ સેવા કાર્ય બદલ ગ્રામજનો, આયોજકો, બ્લડ બેન્ક, વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો અને તેમની સાથે જોડાયેલ સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહાકાળી ગૌશાળામાં તેમના પરિવાર, મિત્રો અને સ્નેહીઓ દ્વારા 1 લાખ 51 હજાર જેટલી માતબર રકમનું દાન પણ કરવામાં આવ્યું હતું. આ તકે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી બિરદાવી રક્તદાન મહાદાન સમજી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજશીભાઈ જોટવા, ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લાના રાજકીય અગ્રણીઓ, વિવિધ ગામના સરપંચો સહીત મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું અને સાથે મોટી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર સેવા યજ્ઞમાં આદ્રી ગામના યુવાનો અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. “સેવા હી સાચી શ્રદ્ધાંજલિ” સૂત્રને સાર્થક કરીને આદ્રી ગામ દ્વારા પૂર્વ સરપંચ મયુર જોટવાને એક સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
