Homeગુર્જર નગરીગઢડા ગોપીનાથ મંદિરના એસ.પી.સ્વામી આ છ જિલ્લામાંથી તડીપાર થઈ શકે છે

ગઢડા ગોપીનાથ મંદિરના એસ.પી.સ્વામી આ છ જિલ્લામાંથી તડીપાર થઈ શકે છે

Team Chabuk- Gujarat Desk: ગઢડા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર થવું પડી શકે છે. ગુજરાતના 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા તે અંગે બોટાદના નાયબ કલેક્ટરે એસ.પી.સ્વામીને નોટિસ ફટકારી છે. 25 માર્ચ સુધીમાં સ્વામીને નોટિસનો જવાબ આપવો પડશે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો એસ.પી.સ્વામીને તડીપાર કરાશે.

નોટિસમાં ક્યા જિલ્લાનો સમાવેશ ?

અમદાવાદ
બોટાદ
ભાવનગર
રાજકોટ
અમરેલી
સુરેન્દ્રનગર

એસ.પી.સ્વામી પર આરોપ છે કે, તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. એટલું જ નહીં ગુંડાગીરી કરીને જનતાને પણ ત્રાસ આપતા હોવાનો આરોપ છે. જો આ મુદ્દે એસ.પી.સ્વામી સંતોષકારક જવાબ નહીં આપે તો તેઓ અમદાવાદ, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પગ નહીં મૂકી શકે.

નોટિસ મળ્યા બાદ એસ.પી.સ્વામી પણ પોતાના બચાવમાં આવી ગયા છે. એસ.પી.સ્વામીએ દાવો કર્યો કે, નોટિસમાં લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગનો ઉલ્લેખ છે. 2007 રોડ વિવાદનો પણ નોટિસમાં ઉલ્લેખ છે. આ વાતની સાથે સાથે તેમણે DySP નકુમ પર પણ આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે, DySP નકુમ હાઈકોર્ટમાં મંદિર મુદ્દે ચાલી રહેલા કેસને પાછો ખેંચવા દબાણ કરી રહ્યા છે. ફરિયાદ મામલે CBI તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું કે, મંદિરના વાયરલ વીડિયો મામલે મારા સામે ફરીયાદ થઈ છે.

એસ.પી.સ્વામીને નોટિસ મળતા મંદિરનું રાજકાણ ગરમાયું છે. આ મુદ્દે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, એસ.પી.સ્વામીએ ઘણા ગુનાઓ કર્યા છે. સરકાર અને પોલીસ તેમનાથી કેટલી હદે ત્રાસી ગઈ હશે ત્યારે તેમને આ પગલું લેવાની જરૂર પડી હશે. તેમણે કહ્યું કે, ગુંડાગીરી કરવાનું કામ સાધુનું ના હોઈ શકે. તેમણે કહ્યું કે સંતોએ સત્સંગ કરાવવાનો હોય છે. સંતોએ ભગવાનનું ભજન કરવાનું હોય છે. સંતોએ મંદિર બાંધવાના હોય છે. એસ.પી. સ્વામી પાસે 15-17 વર્ષ સુધી ગઢડા મંદિરની સત્તા રહી. માણસ પાસેથી સત્તા જાય ત્યારે માણસ શાણો બને, નમ્ર બને, હરિભગતના દીલ જીતવાનો પ્રયત્ન કરે, સંતોના દીલ જીતવાનો પ્રયત્ન કરે. લગભગ ત્રણેક વખત સ્વામી ચૂંટણી હારી ગયા છે. આ ઉપરાંત નૌતમ સ્વામીએ કહ્યું કે, સાધુને તડીપાર કરવાની કદાચ આ પહેલી ઘટના હશે.

કોણ છે એસ.પી. સ્વામી

એસપી સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંત છે. તેઓ ગઢડા ગોપીનાથ (જુના) મંદિરના પૂર્વ ચેરમેન છે. અગાઉ અનેક વખત એસ.પી.સ્વામી ચર્ચામાં આવી ચુક્યા છે. આચાર્ય રાકેશપ્રસાદજી ગઢડા મંદિરમાં આરતી ઉતારવા માટે આવેલા ત્યારે એસ.પી.સ્વામીના જૂથ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો પણ આરોપ લાગેલો. થોડા દિવસો પહેલા ગઢડા મંદિરમાં સંતો સાથે પોલીસ અધિકારીએ ગેરવર્તન કર્યો હોવાના આરોપ સાથે એસ.પી.સ્વામી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પણ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો ત્યારે એસ.પી.સ્વામી હાર્દિકને મળવા પણ ગયા હતા. ગઢડા મંદિરમાં ચેરમેનને લઈને ચાલતા વિવાદમાં ચેરમેન હરજીવન સ્વામીએ એસ.પી.સ્વામી સામે ફરિયાદ પણ નોંધાવી હતી. આમ અનેક વખત કોઈને કોઈ કારણોસર એસ.પી.સ્વામી ચર્ચામાં રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments