અમદાવાદ ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બનતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ન તો બુટલેગરોને ડર છે ન તો માથાભારે શખ્સોને. હાલ ઘાટ એવો સર્જાયો છે કે, પોલીસને જાણે આવા માથાભારે શખ્સો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય. બીજી તરફ પોલીસ પર પણ માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.
બાળકોનું માત્ર મોં જ નહીં ભવિષ્ય પણ દાઝ્યુ
શહેરમાં એક કિસ્સો એવો બની ગયો જે સાંભળીને કોઈનું પણ હ્રદય કંપી ઉઠે. મકાનના ઝઘડામાં બે બાળકોનું ભવિષ્ય ‘દાઝી’ ગયું છે. બાળકોનું ભવિષ્ય દઝાડનાર બીજું કોઈ નહીં પરંતુ પોતાના જ કહેવાતા કાકાઓ છે. રાક્ષસી માનસિકતા ધરાવતા આ કાકાઓએ બાળકો પર એસિડ એટેક કર્યો છે. એસિડ એટેકમાં બાળકની માતા પણ દાઝી ગયા છે. ઘટના એટલી ગંભીર છે કે અહીં અમે એ માસૂમ બાળકોના ફોટો પણ નથી દર્શાવી શકતા. હાલ માતા અને બંને બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્રણેની હાલત સ્થિર છે. પરંતુ અસહ્ય પીડાના કારણે બાળકો લાચાર છે.
બાળકોની ચિચિયારીઓથી ગૂંજ્યુ ઘર
ઘટના અમદાવાદના માધુપુરા વિસ્તારની છે. માધુપુરાના મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં રહેતા દંતાણી પરિવાર પર આ પિશાચી હુમલો થયો છે. એ પણ એવા સમયે જ્યારે બાળકો અને તેમની માતા ગાઢ નિદ્રામાં હતા. ખુલ્લી બારીમાંથી આરોપીએ એસિડ ફેક્યું હતુ જે અંદર ઉંઘી રહેલા બાળકો અને તેમની માતા પર જઈને પડ્યું હતું. ગાઢ નિદ્રામાં જ્વલનશીલ પદાર્થ મોઢાના ભાગે પડતાં ઘર બાળકો અને તેમની માતાની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.
મકાનનો ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો
મકાન ખાલી કરાવવા બાબતે કૌટુંબિક ઝઘડો ચાલી રહ્યો હતો. દંતાણી પરિવાર જેના પર હુમલો થયો છે તેને ભાઈઓને મકાન ખાલી કરાવાની ના પાડી દીધી હતી. એટલે કૌટુંબિક ભાઈઓએ તેમના પરિવારનો માળો વિખેરી નાખવાનું કાવતરું રચી નાખ્યું હતું. આરોપીઓને પરિવારના સભ્યોની હત્યા કરી નાખવી હતી. પીડિત પરિવારે દાવો કર્યો છે કે, તેમણે 6 વર્ષ પહેલાં આ મકાન ખરીદ્યું હતું. મકાનના 3 લાખ રૂપિયા પણ ચુકવ્યા હતા. છતાં આ મકાન બાબતે અવારનવાર ઝઘડો ચાલી રહ્યો હતો.
પોલીસ શું કરે છે ?
આરોપ છે કે, ઘટના સ્થળથી માત્ર થોડે દૂર જ માધવપુરા પોલીસ સ્ટેશન છે. સમગ્ર કેસની ગંભીરતાની જાણ હોવા છતાં પીઆઈ તપાસમાં ઢીલ કરી રહ્યા છે. આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેને લઈને પરિવારજનો રોષે ભરાયા છે. તો સ્થાનિકો પણ પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે જ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી રહ્યા છે. બીજી તરફ સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે પોલીસ આવા ગંભીર કેસમાં તપાસમાં ઢીલી નીતિ અપવાની રહી છે. શું પોલીસને બાળકોની વેદના નથી દેખાતી ? શું પોલીસ માત્ર વાયદાઓ અને સહાનુભૂતિ જ આપશે ? આરોપીઓ શા માટે હજુ પોલીસ પકડથી દૂર છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત