તમે જેના અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યા હોય, ઘરમાં માહોલ ગમગીન હોય, પરિવારના સદસ્યના મોતનું દુઃખ ઘરના વાતાવરણને ભારે કરી રહ્યું હોય અને અચાનક જેના અંતિમ સંસ્કાર કરીને આવ્યા હોય તે મૃત વ્યક્તિ તમારી સામે આવીને ઉભી રહી જાય તો શું થાય ? કાચા હ્રદયના હોય એના તો છાતીના પાટીયા બેસી જાય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના શ્યોપુરમાં.
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં એક પરિવારે પોતાના પરિજનના અંતિમ સંસ્કાર કરી નાખ્યા, પરંતુ સાંજ પડતાં આ વ્યક્તિ જીવિત ઘરે આવ્યો. જેને જોઈને પરિવારના સભ્યો અને પોલીસના પણ હાજા ગગડી ગયા, આંખો પહોળી થઈ ગઈ.
હકીકતમાં ઘટના બડૌદાના માતાજી મહોલ્લાની છે. જ્યાં ગુરુવારે સાંજે સાત વાગે શહેરના પુલ દરવાજા સ્મશાન ઘાટ પાસે એક અજાણ્યા વ્યક્તિની લાશ પડી હતી જેની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી. પોલીસે અજાણી લાશની ઓળખ કરવા માટે મૃતકની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરી જેથી ઝડપથી લાશની ઓળખ થઈ શકે.
પોલીસે વાયરલ કરેલી મૃતકની તસવીર શુક્રવારે સવારે બડૌદાના બંટી શર્માની નજરમાં આવી. તેણે પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે આ લાશ મારા ભાઈ દિલીપ શુક્લાની છે જે 4-5 દિવસથી ગુમ છે. બંટી શર્માએ જણાવ્યું કે દિલીપ શુક્લા માનસિક બીમાર છે.
ઓળખાણ થઈ જતાં પોલીસે બંટી શર્માને આ લાશનો હવાલો સોંપવાનું નક્કી કર્યું. લાશનું પોસ્ટમોર્ટમ કરીને હવાલો બંટી શર્માને સોંપવામાં આવ્યો. પોલીસે પણ પંચનામા સહિતની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી. દિલીપ શુક્લાને મૃત સમજીને તેના પરિવારે શુક્રવારે સવારે અંતિમ સંસ્કાર કરી નાખ્યા. પરંતુ રાતે 8 વાગ્યે દિલીપ શુક્લા ઘરે પરત ફર્યા. દિલીપ શુક્લાને નજર સામે જીવિત જોઈને પરિવારજનોની સાથે પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા.
અંતિમ સંસ્કાર બાદ પોતાના સ્વજનને આ પ્રકારે જીવિત જોઈને જે ઘરમાં દુઃખનો માહોલ વ્યાપી ગયો હતો તે ઘર ખુશીઓથી ભરાઈ ગયું. પરિવારજનો દિલીપ શુક્લાને જીવિત જોઈને તેને ભેટી પડ્યા. પરંતુ આ ખુશીની સાથે પરિવારમાં એક બીજો ડર ઉભો થયો, કે દિલીપ શુક્લા જીવિત છે તો તેઓએ જે લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા એ કોની હતી ? અન્ય વ્યક્તિની લાશના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાથી પરિવાર હવે પોલીસ કાર્યવાહીથી ડરી રહ્યો છે.

દિલીપ શુક્લાના પરિવારનું કહેવું છે કે ફોટોમાં જે ચહેરો હતો તેને ઓળખવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. બીજી તરફ પોલીસ પોતાની કાર્યવાહીને બરાબર હોવાનું કહી રહી છે. અને અજાણી લાશની તસવીરના સહારે હવે તેની ફરીથી ઓળખાણ કરવામાં લાગી ગઈ છે.
હાલ આ અજાણ્યા શખ્સની ઓળખાણ કરવા પરિવાજનો આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી તે ભેલા ભીમ લત ગામના રામકુમાર આદિવાસી હતા. તેમનો પરિવાર શુક્રવારે સાંજે સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેઓને અસ્થી આપવામાં આવશે.
મધ્ય પ્રદેશની આ ઘટનાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે કે એક અજાણી લાશની ઓળખાણ કરવામાં કોઈ આમ કેવી રીતે થાપ ખાઈ જાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત