Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ પડતાં 12 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીની સાથે મોરબીના ધારાસભ્ય અને શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી પોતાની સંવેદના પ્રગટ કરી હતી. વડાપ્રધાન કાર્યોલયે દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરી હતી જયારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો હળવદ પહોંચ્યો હતો. મુખ્યંમંત્રીએ સ્થાનિક પ્રશાસન સાથે વાતચીત કરીને ઘટનાની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
હળવદ દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રીએ બુધવારના પોતાના તમામ કાર્યક્રમો અને બેઠકો રદ કરી દીધા હતા અને સીધા જ હળવદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થળ પર જઇને માહિતી મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ હળવદ ખાતે જીઆઈડીસીમાં દિવાલ ધસી પડવાની દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં બપોરે 12 વાગ્યાના અરસામાં શ્રમીકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધસી પડતાં 30 શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
