Homeગુર્જર નગરીજે આસ્થાથી આપ લોકો અહીં બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર...

જે આસ્થાથી આપ લોકો અહીં બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર બેઠો છું- ભૂપેન્દ્ર પટેલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવતકથા સપ્તાહ ભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીએ કથાકાર ગૌતમભાઈ શાસ્ત્રીના આશીર્વાદ મેળવી રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કથાનું રસપાન કરવા આવેલ સૌને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જે આસ્થાથી આપ લોકો અહીં બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર બેઠો છું. વ્યક્તિને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં જો જીવતા આવડી જાય તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય અને એ શીખવવા માટે જ ભાગવત સપ્તાહ જેવી કથાઓનું આયોજન થતું હોય છે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છતા એમણે કોઈનો વાંક કાઢ્યો નહોતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આજે આપ સૌના આશીર્વાદ લઈ ગાંધીનગર જઉં છું. જેથી, રાજ્યના છેવાડાના માનવી માટે ખૂબ સારા કાર્યો કરવાની ઊર્જા મળશે. આપની તકલીફ અમારા સુધી પહોંચાડજો અમે એને ચોક્કસથી દૂર કરીશું.

પૂર્વમંત્રી, બનાસડેરીના ચેરમેન અને ભાગવત સપ્તાહના યજમાન શંકર ચૌધરીએ કાર્યક્રમોની વ્યસ્તતા વચે પધારવા બદલ ‘સિમ્પલ લિવિંગ – હાઇ થિંકિંગ’માં વિશ્વાસ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજે સરહદી વિસ્તારમાં મુખ્યમંત્રીનું આગમન એ સમગ્ર સરહદી વિસ્તારનું સન્માન છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિ એમનો આપણા સૌ પ્રત્યેનો પ્રેમ અને એમની ધર્મ પ્રત્યેની આસ્થા દર્શાવે છે.

મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપીને મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, સામાજીક અગ્રણી દિલીપ દેશમુખ, જિલ્લા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, સંગઠનના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભૂતપૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર, પદાધિકારીઓ, જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિકારીઓ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments