Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બીમારીઓના સ્ક્રિનિંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો (niramay gujarat) રાજ્યવ્યાપી પ્રારંભ ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ મહાભિયાનના પ્રારંભ અવસરે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, બદલાતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની બીમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જીવલેણ બની જાય છે.
‘પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રિનિંગ થઈ જાય અને તપાસ નિદાનથી લઈને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઈને હૃદયરોગ, કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC, PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.
ભૂપેન્દ્ર પટેલે જાણાવ્યું કે, આ અભિયાન હેઠળ આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઈને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બીમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. એટલુ જ નહીં, સ્વચ્છતા અભિયાન, ઘર ઘર ટોઇલેટ, દરેકને ઘર, નલ સે જલ, ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ આપીને હવે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આયુષ્માન ભારત- PMJAY કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓનો સફળ અમલ કર્યો છે.
ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરિવારો અવશ્ય મેળવી લે તેવી અપિલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહે કંડરેલી વિકાસની કેડી પર વધુ દ્રઢતા સાથે ગુજરાતને આગળ વધારવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન સરકારની આ નવી ટીમ રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાઓના લાભ પહોંચે તે માટે સંપૂર્ણ કટીબદ્ધ છે.
બેઝીક એટલે કે મૂળભૂત જરૂરિયાતોમાં કોઈ ઉણપ ન રહે અને જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ થાય તેવી આ સરકારની પ્રતિબદ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહિતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોચાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રિનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રિનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.
આ પ્રસંગે મુખ્મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યયમંત્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહિલા ખેલાડીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભના સમયે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવો ઇ- માધ્યમથી જોડાયા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત