Homeગુર્જર નગરીભૂમાફિયાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે : મુખ્યમંત્રી

ભૂમાફિયાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઈ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.

રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનૂમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જોગવાઇઓ-નિયમોનો હવે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ગુજરાતની પારદર્શી, સંવેદનશીલ અને ગરીબ-ખેડૂત-સામાન્ય માનવીની ચિંતા કરીને સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ની કાયદાકીય જોગવાઇઓનો આજે બુધવાર 16 ડિસેમ્બર 2020થી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે.’

ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે            

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાયદાકીય જોગવાઇઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે,  ‘સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઈ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.’

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ‘ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઈ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હરૂપ બની રહેશે.’

હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઇઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કડક સજાની જોગવાઈ    

આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.

મુખ્યમંત્રીએ આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમાફિયાઓને નશ્યત કરી શકાય તેવો સકંજો કસતો એકટ બનાવવા જે જોગવાઇઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તેની વધુ વિગતો આપી હતી.

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના અમલની જે મહત્વપૂર્ણ જોગવાઈઓ મુખ્યમંત્રીએ જાહેર કરી છે તે પ્રમાણે, આ કાયદાની આડ લઇને કોઈ લે-ભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યૂનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે તથા જિલ્લાના અધિક નિવાસી કલેકટર સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે.

કોઈની શેહ-શરમ વગર પગલાં ભરાશે

એક વિશેષ જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે, સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઈ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. આના પરિણામે રાજ્યમાં ભૂમાફિયાઓ સામે કોઈની પણ શેહશરમ કે દબાણ આપ્યા સિવાય પગલાં ભરી શકાશે.

આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર ૧પ દિવસે યોજાશે. કમિટી સમક્ષ સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ માટે જે-તે પ્રાંત અધિકારીએ અન્ય સક્ષમ અધિકારીને તપાસ સોંપશે. મુખ્યમંત્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે. તે અનુસાર તપાસ અધિકારીએ કોઈપણ વિભાગ પાસેથી પાંચ દિવસમાં માહિતી મેળવવાની રહેશે.

આવી તપાસમાં પ્રથમ દર્શી રીતે ફરિયાદ કરનારનું હિત સંકળાયેલું છે કે કેમ તેમજ મહેસૂલી ટાઇટલ તે વ્યકિતના નામે છે અને ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતિને તપાસ અધિકારી સોંપશે. એટલું જ નહીં, બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપિંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય તેના ર૧ દિવસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે. આ કમિટી એવા નિષ્કર્ષ પર આવે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગૂનો છે, ત્યારે કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયના એક સપ્તાહ-૭ દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવી પડશે.

એટલું જ નહીં, ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત-સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.  આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક DYSPના દરજ્જાના અધિકારી કરશે.

ખાસ કોર્ટની રચના થશે 

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ‘જમીન પચાવી પાડવાના આવા કેસોમાં ગૂનેગારને ઝડપી શિક્ષા થાય અને ન્યાય તોળાય તે આવશ્યક છે. આ હેતુસર આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ ‘અદાલત’-‘સ્પેશ્યલ કોર્ટ’ની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે. આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોનો વધુમાં વધુ ૬ મહિનામાં નિકાલ કરવાનો રહેશે. વિશેષ અદાલતમાં આવા કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવનાર છે.

વિશેષ અદાલતોને દિવાની અને ફોજદારી બેય અદાલતોની સત્તા આપવામાં આવી હોવાથી ભૂમાફિયાઓ સામે કડક શિક્ષાપાત્ર કાર્યવાહી થઈ શકશે. તેની સાથે જ જે નિર્દોષ વ્યકિત, ખેડૂત, ગ્રામીણ નાગરિકની જમીન હડપ કરી લેવામાં આવી છે તેને વળતર તેમજ ઝડપી ન્યાય પણ મળશે. આ કાયદાની અન્ય એક મહત્વની જોગવાઈ પ્રમાણે લેન્ડ ગ્રેબિંગના કેસમાં જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેને આવી જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ પૂરવાર કરવું પડશે.

એટલે કે બર્ડન ઓફ પ્રૂફ આક્ષેપિત લેન્ડ ગ્રેબરના શિરે રહેશે. આથી કોર્ટમાં કેસ ઝડપથી પૂરવાર કરવામાં વેગ આવશે. આવી ફરિયાદના કિસ્સામાં જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાંકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તેવું સાબિત કરવાનું રહેશે.

આવી કડક જોગવાઈના કારણે જમીન પચાવી પાડનાર ગુનેનારને તેના આવા કૃત્ય બદલ ભારે સજા તો થશે જ, સાથે સાથે સમાજમાં આવા પ્રકારના લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ જો આચરવામાં આવશે તો ગુનેગારોની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ પણ પહોંચશે તેમ તેમણે કહ્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ‘આ કાયદાની જોગવાઈઓ તાત્કાલિક ધોરણથી અમલમાં આવતાં અસરકારક અમલીકરણ થવાથી જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઈ જશે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments