Team Chauk-Gujarat Desk: વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઈ પટેલે વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મમતા દિવસ પ્રસંગે વડોદરા જિલ્લામાં શિશુઓને જીવલેણ ન્યુમોકોકલ ન્યૂમોનિયા અને મગજના તાવ સામે રક્ષણ આપતી રસી મુકવાનો પ્રારંભ કરાવ્યો છે. નવજાત બાળકોને એક વર્ષની ઉંમર સુધીમાં નક્કી સમયના અંતરે આ પી.સી.વી.રસીના ત્રણ ડોઝ આપવા જરૂરી છે.ખાનગીમાં મોંઘાભાવે મૂકી આપવામાં આવતી આ રસી બાળ આરોગ્ય રક્ષાની નવી પહેલના રૂપમાં રાજ્યના આરોગ્ય વિભાગે વિનામૂલ્યે આપવાનું આયોજન કર્યું છે.

દેશમાં થતાં બાળ મરણમાં મોટો હિસ્સો ન્યૂમોનિયાનો છે. તે ચેપી હોવાથી તેનાથી બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પણ ઉંચુ રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં વાલીઓમાં તેના વિશે જાગૃતતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. તદઉપરાંત તેઓ દર્દીને દવાખાને લઇ જવામાં પણ ઘણી વાર ઉદાસીનતા દાખવતાં હોય છે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.

આમ, ન્યૂમોનિયાને કારણે થતાં બાળ મરણને અટકાવવાં માટે નાના બાળકોને આ નવી ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન આપવી જરૂરી છે. આ રસી આપવાથી બાળકોમાં એક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મે છે અને તેનાથી ન્યૂમોનિયા જેવાં ચેપી રોગ સામે રક્ષણ મેળવવાં માટે તે અસરકારક સાબિત થાય છે. ન્યૂમોકોકલ ન્યૂમોનિયા એક પ્રકારનો ફેફસાનો ચેપ છે. જેમાં બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી, થાય છે. છાતી અંદરની તરફ ખેંચાય છે તેમજ બાળકને તાવ આવે છે અને ઉધરસ થાય છે.

આ રસીને કારણે ગ્રામ્ય સ્તરે બાળકોમાં રેફરલ ઘટાડી શકાશે અને તેનાથી થતાં બાળ મરણમાં પણ નોંધપત્ર ઘટાડો થશે. જો અસરકારક રસીકરણ કરવામાં આવે તો વાતાવરણમાંથી જ ન્યૂમોનિયાના બેક્ટેરિયા સામેના ચેપનું જોખમ ઘટાડી શકાશ છે. આ રોગ થવાના થોડા દિવસમાં જ દર્દી બાળક ગંભીર બની જાય છે. જે બાળકમાં સારવારની અસરકારકતા ઓછી હોય જોવાં મળે તેવાં બાળકને આ રસી આપવાથી બાળકને ન્યૂમોનિયાના જોખમથી બચાવી શકાય છે.

અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતના જણાવ્યા મુજબ PCV રસીના કુલ 3 ડૉઝ – દોઢ મહિને, સાડા ત્રણ મહિને અને ફરી નવ મહિને આપવામાં આવશે. બાળકને PCV રસીની સાથે અન્ય રોગ સામે રક્ષણ આપતી અન્ય રસી પણ એક જ સમયે આપી શકાશે અને તે પણ અસરકારક અને સુરક્ષિત છે. આ રસી રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ રસી આપવાથી બાળ મરણનો દર ઘણો બધો ઘટાડી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. PCV – ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન બાળકોને ન્યૂમોનિયા જેવાં ચેપી રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબિત થશે.

ડો. ટિલાવતે જણાવ્યું કે જિલ્લામાં જે બાળક પ્રથમ ડોઝના રસીકરણ એટલે કે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 ના ડોઝ માટે ૧.૫ મહીને એટલે કે ૬ અઠવાડિયે આવે છે ફક્ત તે જ બાળકો પ્રથમ ડોઝ PCV-1 માટે પાત્ર ગણાશે. જો બાળક પ્રથમ ડોઝ માટે મોડું આવે છે અને જો તેને રસીના ૧.૫ મહીને આપવાના થતા કોઈ પણ ડોઝ આપવામાં નહિ આવ્યા હોય તો અન્ય રસીના પ્રથમ ડોઝ એટલે કે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 સાથે PCV-1 આપી શકાય. પરંતુ જે બાળકે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 ના ડોઝ લઇ લીધા હશે તેને PCV શરુ કરી શકાશે નહી તેની ખાસ નોંધ લેવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત