Homeગુર્જર નગરીહે ચાબુક 400માંથી 500 થયા, 500માંથી 600 થયા અને હવે 800 થયા

હે ચાબુક 400માંથી 500 થયા, 500માંથી 600 થયા અને હવે 800 થયા

ગોવાબાપાઃ ચાબુક આપણા ગુજરાતમાં થતી ચૂંટણીઓ ચમત્કારીક છે હો. જેવી ચૂંટણી આવે એટલે કોરોના ભાગી જાય છે. હવે જો આ ચૂંટણી પૂરી થઈ ત્યારથી કોરોના ધીમા પગલે વધી રહ્યો છે. ચૂંટણી ટાણે ગુજરાતમાં 300-400 જેટલા કેસ નોંધાતા હતા અને હવે સીધા ડબલ હો ચાબુક. આજની જ વાત કરું તો આંકડો 810નો છે. ચૂંટણી પૂરી થઈ ત્યારથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. 400માંથી 500 થયા, 500માંથી 600 થયા, ને એમ ધીમે ધીમે હવે 800ને પાર કેસ પહોંચી ગયા છે.

શું જમાનો આવ્યો છે ?

ચાબુક તે પેલી કહેવત તો સાંભળી જ હશે, કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવતને કડીના એક દંપતીએ ખોટી પાડી છે. માવતર જ કમાવતર નીકળ્યા છે. વાત જાણે એમ છે કે મહેસાણા જિલ્લાનાં કડીમાં એક દંપતીને એક દીકરીના જન્મ બાદ પુત્ર જન્મની આશા હતી. પરંતુ બીજી વખતેય દીકરી જન્મી હતી. પુત્ર જન્મ પાછળ ઘેલા બનેલા આ પતિ-પત્નીએ પોતાની જ 32 દિવસની દીકરીની હત્યા કરી નાખી. કેવા ક્રુર અને નિષ્ઠુર મા-બાપ કહેવાય ચાબુક. દીકરીની હત્યાને આ દંપતી અકસ્માતમાં ખપાવી દેવા માગતું હતું પરંતુ પાપ છાનું ન રહે ચાબુક એમ ફાંડો ફૂટી જ ગયો.

ચૂંટણીમાં ખેડૂત આંદોલન

પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં હવે ખેડૂત આંદોલન પણ પહોંચી ગયું છે. ગઈકાલે ખેડૂત નેતા રાકેશ ટિકેતે પશ્ચિમ બંગાળમાં કહ્યું કે, ગમે તે પાર્ટીને મત આપજો પરંતુ ભાજપને મત ન આપતા. પશ્ચિમ બંગાળ બાદ રાકેશ ટિકેત આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં રાકેશ ટિકેતે કહી દીધું કે ખેડૂતોનું આંદોલન આગામી નવેમ્બર-ડિસેમ્બર સુધી ચાલશે તેવી આશા છે. ચાબુક રાકેશ ટિકેતે તો સરકાર પર આરોપ લગાવતા કહી દીધું કે સરકારને મોટી કંપનીઓ ચલાવી રહી છે અને જો દેશની જનતા પંખા અને એસીમાં સુઈ રહેશે તો દેશ પણ વેચાઈ જશે.

હુમલાના પુરાવા ન મળ્યા

ચાબુક મમતા બેનર્જી કહી રહ્યા હતા કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ આજે ચૂંટણી પંચે હુમલો થવાની વાતને ફગાવી દીધી છે. ચૂંટણી આયોગને મમતા બેનર્જી પર હુમલો થયાના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી હુમલાની વાતને ચૂંટણી પંચે નકારી કાઢી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે મમતા બેનર્જીને જે ઈજા થઈ છે તે તેમના સુરક્ષાકર્મીઓની ભૂલના કારણે થઈ છે. આ અંગે કાર્યવાહી કરતાં ચૂંટણી પંચે મમતા બેનર્જીના સિક્યુરિટી ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ મેદિનીપુરના એસપી અને જિલ્લા કલેક્ટરને પણ હટાવી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આજે મમતા બેનર્જીએ વ્હીલચેર પર બેસીને પ્રચાર કર્યો હતો. દક્ષિણ કોલકતાના મેયો રોડ પરથી મમતા બેનર્જીએ રોડ શોનો પ્રારંભ કર્યો હતો. મમતા બેનર્જી વ્હીલચેરમાં બેઠા હતાં અને તેમની સાથે હજારો કાર્યકરો આ રોડ શોમાં જોડાયા હતા.

આખી પાર્ટી જ વિલય થઈ ગઈ

ચાબુક તે ધારાસભ્યોને એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ભળી જતાં જોયા હશે પરંતુ આજે તો એક આખી પાર્ટી જ બીજી પાર્ટીમાં ભળી ગઈ બોલ. હું વાત કરું છું બિહારની. બિહારમાં એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન ગણાતા ઉપેન્દ્ર કુશવાહા અને નીતિશ કુમાર હવે દોસ્ત બની ગયા છે. ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)ને નીતિશ કુમારની પાર્ટી JD(U)માં ભેળવી દીધી છે. ચૂંટણીમાં વિરોધી રહેલા બન્ને હવે ભાઈ-ભાઈ થઈ ગયા છે.

જો કે આ ઘટનામાં ચિરાગ પાસવાનને નીતિશ સામે બોલવાનો વધુ એક મોકો મળી ગયો છે. એલજેપીના ચિરાગ પાસવાને આ અંગે કહ્યું છે કે, ફૂટેલા કારતૂસથી નીતિશ કુમાર જંગ જીતવા માગે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments