Homeગુર્જર નગરીઊનાઃ તળાવમાં પડેલા ઘેટાંને બચાવવા જતાં પિતા અને બે પુત્રના મોત

ઊનાઃ તળાવમાં પડેલા ઘેટાંને બચાવવા જતાં પિતા અને બે પુત્રના મોત

અબ્દુલ પઠાણ, ઊનાઃ રાજ્યમાં રવિવારની સવારથી જ અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં એક દુર્ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘેટાને બચાવવા તળાવમાં પડેલા પિતાને બચાવવા જતાં બે પુત્રના પણ મોત નિપજ્યા છે. આમ આ દુર્ઘટનામાં પિતા અને બે પુત્રના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઊના તાલુકાના મોટા ડેસર ગામે પિતા અને તેમના બે પુત્ર ઘેટા ચરાવવા માટે નીકળ્યા હતા આ દરમિયાન અચાનક એક ઘેટું તળાવમાં પડી ગયું હતું. તળાવમાં ડૂબી રહેલા ઘેટાને બચાવવા માટે પિતાએ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દરમિયાન પિતા પણ ડૂબવા લાગ્યા હતા જેથી પિતાને બચાવવા માટે એક પછી એક બન્ને પુત્રએ પણ તળાવના પાણીમાં છલાંગ લગાવી હતી. પરંતુ તળાવના પાણીમાં ગરકાવ થઈ જવાથી પિતા અને બન્ને પુત્રના કરુણ મોત નિપજ્યા હતા.

આ દુર્ઘટના બાદ મોટા ડેસર ગામનો માલધારી પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. મૃતકમાં ભોપાભાઈ જેઠાભાઈ ગલચર, પાલાભાઈ ભોપાભાઈ ગલચર અને ભીમાભાઈ ભોપાભાઈ ગલચરનો સમાવેશ થાય છે. પિતા અને બે પુત્રો ડૂબ્યાની જાણ થતાં જ ગામ લોકો તળાવ પર દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે આવીને અડધી કલાકની ભારે જહેમત બાદ પિતા અને બન્ને પુત્રના મૃતદેહ શોધીને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments