Homeગામનાં ચોરેહિમાચલ પ્રદેશમાં પર્વત પરથી ભેખડો પડતાં 9 પર્યટકોના મોત, ભયાનક વીડિયો આવ્યો...

હિમાચલ પ્રદેશમાં પર્વત પરથી ભેખડો પડતાં 9 પર્યટકોના મોત, ભયાનક વીડિયો આવ્યો સામે

Team Chabuk-National Desk: દેવભૂમિ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં મોટી દુર્ઘટના ઘટી છે. કિન્નોરના સાંગલા-છિતકુલ રોડ પર પર્વતની ભેખડ પર્યટકોની કાર પર પડવાથી 9 પર્યટકોના મોત નિપજ્યા છે. અચાનક પર્વતની ભેખડ સાથે મોટા મોટા પથ્થરો પડતાં રોડ પર જઈ રહેલા ટેમ્પો ટ્રાવેલર વાહન પર પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 પર્યટકોના મોત નિપજ્યા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટના રવિવારે બપોરે દોઢ વાગ્યાની આપસાસ બની હતી. કિન્નોરના સાંગલા-ચિટકુલ રોડ પર બટસેરી પાસે પર્વતની ભેખડ ધસી પડી હતી. આ ભેખડમાંથી એક ભાગ સાંગલા તરફ જઈ રહેલા ટેમ્પો ટ્રાવેલર વાહન પર પડ્યો હતો. આ ટેમ્પો ટ્રાવેલરમાં 11 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 9 લોકોના મોત થયા છે. જે ટેમ્પો ટ્રાવેલર પર ભેખડ પડી છે તેનો વાહન રજિસ્ટ્રેશન નંબર એચઆર 55 એસી 9003 હોવાનું સામે આવ્યું છે. એટલે કે આ ટેમ્પો ટ્રાવેલર હરિયાણાનો હોવાનું સ્પષ્ટ થયું છે.

આ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર પર્યટકો અલગ અલગ જગ્યાના હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પર્યટકોની ઓળખ થઈ શકી નથી. તમામ લોકો અલગ અલગ જગ્યાએથી અહીંયા ફરવા આવેલા હતા. એક બીજાના પરિવારજનો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે. દુર્ઘટનામાં એક સ્થાનિકને પણ ઈજા પહોંચી છે. પર્વત પરથી ભેખડો પડતાં અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. આ રસ્તા પર શનિવારથી જ ભુસ્ખલન ચાલુ છે.

પર્વત પરથી ભેખડો પડતાં બટસેરી પુલ પણ ચપેટમાં આવી ગયો છે. પર્વત પરથી મોટી ભેખડ પુલ પર પડતાં આખો પુલ તૂટી ગયો છે. આ ઉપરાંત રસ્તા પરથી પસાર થઈ રહેલા કેટલાક લોકોને અને સફરજનના બગીચા અને ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

પર્વત પરથી ભેખડો પડવાની દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પર્વત પરથી અચાનક ભુસ્ખલન થવા લાગે છે અને મોટા મોટા પથ્થરો પર્વત પરથી નીચે પડવા લાગે છે. જેના કારણે લોકોમાં પણ ભાગદોડ મચી જાય છે. ભેખડો નીચે વહી રહેલી નદીના પાણીમાં પડે છે. એક મોટી ભેખડ નદી પર બનાવેલા લોખંડના પુલ પર પડતાં આખો પુલ ધ્વસ્ત થઈ જાય છે.

વડાપ્રધાને સહાયની કરી જાહેરાત

આ દુર્ઘટનાના મામલે વડાપ્રધાન દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. પીએમઓ ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભુસ્ખલનની દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેઓના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments