Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલી દ્વારકાધીશ માર્કેટમાં ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. એટલું જ નહીં લેબોરેટરી નજીક આવેલી કનેરિયા હોસ્પિટલમાં પણ દર્દીઓને જીવનું જોખમ ઉભુ થયું હતું. લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલમાંથી ૧૦ જેટલા દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું હતું.
દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળે આવેલી એસ.આર.એલ નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિના ચાર વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગી ગઈ હતી. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લેબોરેટરીની નજીક જ આવેલી કનેરિયા હોસ્પિટલમાં આગના ધુમાડા પહોંચ્યા હતા. જેથી દર્દીઓ ગૂંગળાયા હતા. મળતી માહિતી મુજબ કનેરિયા હોસ્પિટલમાં દસ જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ હતા.
બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ તમામ દર્દીઓને સ્થળાતર કર્યા હતા. જો કે, દર્દીના પરિવારજનોના આક્ષેપ છે કે, ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા. પાણીનો ધોધ થતો ન હતો. એટલું જ નહીં ફાયર બ્રિગેડના વાહનમાંથી સીડી પણ ખુલતી ન હતી.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, લેબોરેટરીમાં આગ લાગવાના કારણે નજીકની હોસ્પિટલમાં કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલા દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોવાથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓને બહાર કાઢ્યા હતા.
હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે કનેરિયા હોસ્પિટલમાં આગની કોઈ ઘટના નથી બની પરંતુ નજીકમાં આવેલ લેબોરેટરીની આગના ધુમાડાથી દર્દીઓ ગુંગળાયા હતા. બીજી તરફ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લેબોરેટરીમાં રહેલા આગ કાબુ મેળવવાના સાધનોની એક્સપાયરી ડેટ જતી રહી હતી. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
