Homeગુર્જર નગરીગીરગઢડાના 200 વર્ષ જૂનાં સોનબાઈ માતાજીના મંદિર જવાનો રસ્તો વન વિભાગે બંધ...

ગીરગઢડાના 200 વર્ષ જૂનાં સોનબાઈ માતાજીના મંદિર જવાનો રસ્તો વન વિભાગે બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ

Team Chabuk-Gujarat Desk: ગીરગઢડાના જશાધાર રેન્જમાં આવેલા જંગલના સરાકડિયા નેસમાં 200 વર્ષ જૂનું સોનબાઈ માતાજીનું મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરે દર્શને અને માનતા-બાધા પૂરી કરવા આવતા હોય છે. ગેટથી માત્ર 2 કિમી દૂર આવેલા આ મંદિરે વનવિભાગના કાયદાને લીધે શ્રદ્ધાળુને જવાની મનાઈ ફરમાવી દેવાતાં રોષે ભરાયેલા ભક્તોએ ગેટ પાસે જ બેસી જઈ ધરણા કર્યા હતા.

સોનબાઈ માતાજીના મંદિરે જવા ગઈકાલે રાજુલાના સતડિયા ગામના સાગરભાઈ ડાભિયા, અનિદ્ધભાઈ વરૂ, જયદિપભાઈ વાળા, મનોજભાઈ શર્મા, શૈલેષભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. પરંતુ વનવિભાગ દ્વારા ગેટ બંધ કરી અંદર પ્રવેશ કરવા ન દેવાતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

આ શ્રદ્ધાળુઓએ ગેટ બહાર બેસી આંદોલન શરૂ કરી દેતાં ગીરગઢડા પીએસઆઇ અઘેરા, સ્ટાફના યોગેશભાઇ વાઝા, કિરીટસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને જશાધાર આરએફઓ જે. જી. પંડ્યા અને સ્ટાફ તેમજ ભાવિકો વચ્ચે પોલીસે મધ્યસ્થી કરી સમજાવટ કરતાં અંતે ભક્તોએ આંદોલન સમેટ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા વનવિભાગને ચીમકી પણ આપવામાં આવી હતી કે, જો 10 દિવસમાં સોનબાઈ માતાજીના મંદિરે જવાનો રસ્તો ખુલવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

સોનબાઇ માના છોરું દ્વ્રારા પણ મુખ્યમંત્રી, વન મંત્રી, અને વહીવટી તંત્રને રજુઆત કરાઈ છે. પરંતુ આવા 200થી પણ વધુ વર્ષ જુના પૌરાણિક મંદિરના દર્શન અને માનતાઓ માટે શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે. તો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન મા સોનબાઈ માતાજીના મંદિર સુધી જવા માટેની તમામ વનવિભાગની અડચણો દૂર કરવા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments