Team Chabuk-Gujarat Desk: કોરોનાના કેસ ઓછા થતાં રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીને બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂનથી રાજ્યભરમાં કેટલીક છૂટછાટ આપવાનું સરકારે નક્કી કર્યું છે.
રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.
રાત્રિ કર્ફ્યૂનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી તારીખ 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.
તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે, એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.
રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 % પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
રાજ્ય સરકારે 11 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપતાં જ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. 11 જૂનથી સોમનાથ મંદિરના દ્વાર સવારે 7-30 થી રાત્રિના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા રહેશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. દર્શન માટે ભક્તોએ ઓનલાઈન કે ઓફલાઈન પાસ મેળવવા પડશે.
આ તરફ 11 જૂનથી પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર પણ ભક્તો માટે ખુલશે. સવારે 6 થી સાંજના 7-30 વાગ્યા સુધી પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત