Team Chabuk-Gujarat Desk: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં એક અઠવાડિયા પહેલા મળેલા મૃતદેહ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેજગઢ પાસેની રાયપુર કેનાલ પાસેથી મળેલા મૃતદેહ અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ નવા પ્રેમી સાથે મળીને પ્રેમીની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે છોટા ઉદેપુરના દુમાલી ગામના 27 વર્ષના નિલેશ નામના યુવકની હત્યા કરાઈ હતી. આ મામલે નિલેશના ભાઈએ 26 એપ્રિલ 2023ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું. જે અંગે પોલીસે તપાસ કરતા મૃતકના પરિવારજનોએ ગામના શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ કરી હતી અને પોલીસે તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે નિલેશનો જયા રાઠવા સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ ચાલતો હતો તેની અંદર ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ જેનું નામ છે શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની. જે જયા સાથે બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. એટલે કે પ્રણય ત્રિકોણ સર્જાયો હતો. જેમાં જયા અને અપ્પુએ સમગ્ર હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નિલેશ અને અપ્પુ સોની બંને પરિણીત છે. જયાને નિલેશ સાથે લગ્ન કરવા હતા, પરંતુ નિલેશ આ માટે ના પાડતો હતો. આથી તેણે નવા પ્રેમી અપ્પુ સોની સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું.
હત્યા કરતાં પહેલા જયાએ સૌથી પહેલા નિલેશને મળવા બોલાવ્યો હતો અને પછી કારમાં બેસાડીને વાતો કરી અને દારૂ પીવડાવ્યો હતો. બાદમાં મોકો જોઈને કારના સીટ બેલ્ટથી ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને પાવીજેતપુર નજીક રાયપુર કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ જયા રાઠવા મુંબઈ ભાગી ગઈ હતી અને અપ્પુ સોની પાવી જેતપુરમાં સંતાઈ ગયો હતો. જોકે ગણતરીના દિવસોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. છોટાઉદેપુરના સી .પી .આઈ વી.એસ ગાવીતે જણાવ્યું હતું, કે બન્નેએ ગુનો કબુલ્યો છે. જયા રાઠવા હત્યા કર્યા બાદ મુંબઈ ભાગી ગઈ હતી અને કોઈ મિત્ર સાથે રહેતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
