શૈલેષ નાઘેરાઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, ઓક્સિજન માટે લોકો રિતસરના વલખાં મારી રહ્યા છે. રોજ નવા નવા હ્રદય દ્રાવક કિસ્સાઓ સાંભળીને લોકોની આંખ ભીની થઈ રહી છે. બીજી તરફ કેટલાક એવા લોકો છે જે આ તમામ વાતોને અવગણીને મૂર્ખામી કરી રહ્યા છે અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.
આવો જ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળમાં બન્યો છે. અહીં ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં લોકો કોરોનાને ભૂલી ગયા. રાજ્યમાં જાણે કોરોના નામનો કોઈ વાયરસ ન હોય તેમ માસ્ક વગર જ નીકળી પડ્યા. આ ધાર્મિક કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી નાચતા-ગાતા જોવા મળ્યા.
સોશિયલ મીડિયા પર હાલ આ બેદરકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો ઢોલ વગાડી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર છે. યુવાનો મસ્ત બનીને બિન્દાસ્ત ઢોલના તાલે ઝુમી રહ્યા છે. કેટલાક આધેડ વયના લોકો અબીલ-ગુલાલની છોડો ઉડાવી રહ્યા છે. આ યાત્રામાં બાળકો પણ માસ્ક વગર જ નીકળી ગયા છે. માસ્ક કેમ નથી પહેર્યું ? એ બાળકોને કોઈ કહેનારું નથી કારણ કે ખુદ વડીલોએ જ આ નિયમને નેવે મુકી દીધો છે. આ વીડિયો વેરાવળની સોની બજારનો હોવાનો દાવો કરાયો છે.
કોરોનાની ગાઈડલાઈનનો ભંગ, વેરાવળની સોની બજારના નામે વાયરલ થયેલો વીડિયો.#viralvideo #veraval #girsomnath pic.twitter.com/v8mdzo3HyB
— thechabuk (@thechabuk) April 21, 2021
થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને જનતાને અપીલ કરી હતી કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે એટલે સાવચેતી જરૂરી છે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે, જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ હળવું ન થાય ત્યાં સુધી રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લા તંત્રએ પણ જાહેરનામુ બહાર પાડ્યું હતું. જો કે, શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ન તો જાહેરનામું નડ્યું ન તો તેમને મુખ્યમંત્રીની અપીલ યાદ આવી.
આ કાર્યક્રમ મુદ્દે હવે અનેક સવાલો ઉઠ્યા છે. વેરાવળના જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે, શું હવે આ લોકો વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધાશે ? શા માટે આયોજકે સેંકડોની સંખ્યામાં લોકોના જીવ જોખમમાં મુક્યા ? જો આ યાત્રામાં એક પણ વ્યક્તિ પોઝિટિવ હશે અને સંક્રમણ ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ ?
ઉલ્લેખનીય છે કે, વેરાવળમાં હાલ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન અમલી છે. ભીડ ન થાય તે માટે શહેરમાં 4 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આ ભીડના દ્રશ્યો જાગૃત નાગરિકોને ભયભીત કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત