Team Chabuk-Gujarat Desk: ગોંડલ એસટી ડેપોની બહાર નીકળી રહેલી બસમાં એક વૃદ્ધા આવી જતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે બસ બસસ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી. ડ્રાઈવરે જે જગ્યાએથી બસને અંદર આવવા દેવાની હોય ત્યાંથી બહાર કાઢતા આ અકસ્માત થયો હતો. વૃદ્ધા બસમાં આવી જવાના કારણે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
મહેન્દ્રસિંહ પરમાર નામનો ડ્રાઈવર કમરકોટડા-ગોંડલ-રાજકોટ રૂટની બસ ચલાવી રહ્યો હતો. ગોંડલ એસટી બસનો ડેપો, જે ચોમાસામાં ઉબડખાબડ રસ્તાઓથી ભરપૂર છે ત્યાંથી બસ પસાર થઈ હતી. તેણે જે રસ્તામાંથી બસને અંદર આવવા દેવાની હોય ત્યાંથી બહાર કાઢતા આ અકસ્માત થયો હતો. આ સમયે સામેથી આવતા સિત્તેર વર્ષીય વૃદ્ધા બસની અડફેટે આવી ગયા હતા. વૃદ્ધાના માથા ઉપર બસનું ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અરેરાટી ઉપજાવતી આ ઘટના બન્યા બાદ ગોંડલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વૃદ્ધાના પરિવારજનો વિશે ભાળ મેળવવાની શરૂ કરી હતી. આ સમયે એકત્રિત થયેલા ટોળાને વિખેરવાની પોલીસે જહેમત ઉઠાવી હતી. આ ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વડોદરામાં મોબાઈલે લીધો જીવ
ગોંડલ સિવાય ગઈકાલે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પણ ઉત્તર પ્રદેશનો એક યુવાન સીટી બસની અડફેટે આવી ગયો હતો. મોબાઈલમાં વ્યસ્ત એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો એ દરમ્યાન આ ઘટના બની હતી. રોડ ક્રોસ કરતા સમયે તેની ઉપર માતેલા સાંઢની માફક આવી રહેલી બસનું ટાયર ફરી વળ્યું હતું અને તે બસ ઊભી ન રહી ત્યાં સુધી ઘસડાયો હતો.
આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ તો મોબાઈલમાં માથું નાખી રોડ ક્રોસ કરનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. ઘટનામાં સામે આવેલા સીસીટીવીના દૃશ્યો કોઈના પણ રૂંવાડા ઊભા કરી દેવા માટે પૂરતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત