Homeગુર્જર નગરીતો શું ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ આ કાયદો બની જશે ?

તો શું ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ આ કાયદો બની જશે ?

સૌપ્રથમ ચાલો કચ્છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે હતા. ત્યાં તેઓએ ધોરડોમાં ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે નિર્માણ પામનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને ખેડૂતોના આંદોલન મુદ્દે પણ વાત કરી હતી હો ચાબુક..

આંદોલન મુદ્દે વડાપ્રધાન શું બોલ્યા ગોવા બાપા ?

બેટા ચાબુક વડાપ્રધાન દર વખતની જેમ પોતાની શૈલીમાં ભાઈઓ-બહેનોથી સંબોધન કરતાં બોલ્યા કે ભાઈઓ-બહેનો હું તમારી પાસે જાણવા માગું છું કે કોઈ દૂધની ડેરીવાળો તમારી પાસેથી દૂધ ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે ?

તો લોકોએ શું કહ્યું ગોવા બાપા

ના જ કહી હોય ને. દૂધની સાથે ગાય-ભેંસ થોડી કોઈ આપી દેતું હશે.

પરંતુ આમાં આંદોલનની વાત ક્યાં આવી ગોવા બાપા ?

જો સાંભળ, વડાપ્રધાને આ દૂધનું અને ગાય-ભેંસનું ઉદાહરણ એટલે આપ્યું કે, ખેડૂતો સરકારના કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એક કાયદાનો પણ વિરોધ કરી રહ્યા છે અને આંદોલન કરી રહેલા ખેડૂતો માને છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તેઓ મજૂર બની જશે અને તેમની જમીન તેમના હાથમાંથી ઉદ્યોગપતિઓના હાથમાં ચાલી જશે. એટલે વડાપ્રધાને આજે પોતાના ભાષણમાં આ પ્રકારનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદાથી ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય.

બરાબર હવે સમજ્યો.

શંકાનું સમાધાન કરશે સરકાર

બેટા ચાબુક આજે કચ્છમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં ખેડૂતોને લઈને સંવેદનશીલતા દાખવતા કહ્યું કે, કૃષિ બીલને લઈને સરકાર દરેક શંકાનું સમાધાન કરવા તૈયાર છે. સાથે જ તેમણે વિપક્ષ પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આરોપ પણ લગાવ્યો.

ખેડૂતો આક્રમક મૂડમાં

ચાબુક વડાપ્રધાન ભલે ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હોય પરંતુ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો કાયદો પરત લેવા સિવાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આજે 20 દિવસ થયા છતાં ખેડૂતો પાછીપાની કરવા તૈયાર નથી. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોની વાત નથી કરતી બસ ગોળ ગોળ ફેરવ્યા રાખે છે.

કોરોના હારી રહ્યો છે

ચાબુક તને એક સારા સમાચાર સંભળાવું હાલ, દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 95 ટકાને પાર કરી ગયો છે. ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર 95.12 ટકા પર પહોંચી ગયો છે. લોકો ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે ચાબુક. પરંતુ હા બેદરકારી તો હજુ આપણને પાલવે તેમ નથી હો એટલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો વેક્સિન ન આવે ત્યાં સુધી રાખવાનું જ છે. નહીંતર આ રીકવરી રેટ પર પાણી ફરી જતાં વાર નહીં લાગે.

રૂપાણી સાહેબ દીકરીઓને બચાવો

ચાબુક હવે હું તને જે વાત કરવા જઈ રહ્યો છું એ ખૂબ જ ગંભીર છે, ધ્યાનથી સાંભળજે. ભાજપના જ સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખ્યો છે અને વિનંતી કરતાં કહ્યું છે કે, રૂપાણી સાહેબ ગુજરાતના આદિવાસી વિસ્તારની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ જેહાદનો કાયદો બનાવો અને દીકરીઓને બચાવો. આદિવાસી દીકરીઓને વેચી દેવામાં આવતી હોવાના મનસુખભાઈના ઘટસ્ફોટથી આ મુદ્દે જોરશોરથી ચર્ચાઓ થવા લાગી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ગરીબ પરિવારની મજબૂરીનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે તેવા વિસ્તારમાં છોકરીઓને વેચી દેવામાં આવે છે. અને આ માટે મોટાપાયે એજન્ટોની ટીમ પણ સક્રિય હોવાનું મનસુખભાઈ કહી રહ્યા છે ચાબુક. આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને કડક કાયદો બનાવવા મનસુખભાઈએ માગ કરી છે.

ગોવા બાપા આ તો બહુ ગંભીર મુદ્દો કહેવાય. સરકારે કઇક કરવું જોઈએ.

હા ચાબુક મનસુખભાઈ વસાવાએ તો મુખ્યમંત્રીને કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં જેમ યોગી સરકારે લવ-જેહાદનો કાયદો બનાવ્યો તેમ ગુજરાતમાં પણ કાયદો બનવો જોઈએ. હવે જોઈએ આગળ શું થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments