Team Chabuk-Gujarat Desk: સંયમનો માર્ગ છે શૂરાનો, આવું જ એક શૂરવીરતાનું કામ કરવા જઈ રહ્યા છે ગુજરાતના 8 પરિવારો. અમદાવાદમાં જૈન સમાજના એક સાથે 74 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. સૂરીશાન્તિના ચરમ પટ્ટધર, જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત સિંહસત્ત્વોત્સવ સુરતની સામૂહિક દીક્ષા મહામહોત્સવના, પૂ.મોટા સાહેબજીને અંજલીરૂપે સૌપ્રથમ 59 અને ત્યાર બાદ અત્યાર સુધીમાં 74 મુમુક્ષુરત્નને દીક્ષાના મુહૂર્ત અપાયા છે. આ 74 મુમુક્ષુમાં 8 પરિવાર એવા છે જેમાં ઘરના તમામ સભ્યો દીક્ષા લેવાના છે. જેથી આઠ ઘરને તાળા લાગી જશે. આ પરિવારો સુરત, અમદાવાદ અને મુંબઈના છે.
આ આઠ પરિવારોએ લીધી દીક્ષા
ભોરોલતીર્થના ગુણવંતભાઈ અને મીનાબેન 4 દીકરીઓને અગાઉ દીક્ષા આપી હતી. હવે 17 વર્ષના એકના એક દીકરા વિમલ સાથે સંસારત્યાગ કરશે. સુરતના વિપુલભાઈ બે દીકરા તથા ધર્મપત્ની સાથે દીક્ષા લેશે. સુરતના જેતડાવાળા અશોકભાઈ સજોડે એકના એક દીકરા પરમ સાથે દીક્ષા લેશે. ઘોઘારી સમાજના મુંબઈના વિરેન્દ્રભાઈ સજોડે દીક્ષા લેશે. અગાઉ બે નાની દિકરીઓને દીક્ષા અપાવી હતી. પાલડીના ભરતભાઈના 4 સંતાનોએ અગાઉ દીક્ષા લાધી હતી, હવે તેઓ પત્ની સાથે સજોડે સંયમ માર્ગે નીકળી રહ્યાં છે. મુંબઇના લલિતભાઈ સજોડે દીકરા માનવ અને બે દીકરી સંગ પાંચ પરિવારજનો સંયમના માર્ગે નીકળ્યા છે. પાર્શ્વ શાંતિધામ તીર્થના સ્થાપક સાચોરના ધનાઢ્ય પરિવારના 4 પરિવારજનો મુકેશભાઈ, તેમના ધર્મપત્ની તથા દીકરા યુગ તથા દીકરી સાથે દીક્ષા લેશે. કરાડના માત્ર 33 વર્ષનું દંપતી અંકિતભાઇ સજોડે દીક્ષા લેશે. અમદાવાદના વિશ્વાકુમારી ભાવેશભાઇ ભંડારી અને ભાઈ ભવ્યકુમાર ભંડારી પણ સંગાથે સંયમમાર્ગે જશે. સંઘવી ગીરીશભાઈ અમૃતલાલ ભંડારીનો પરિવાર પણ દીક્ષા લેશે
આમ, આ તમામ પરિવારોમાં હવે કોઈ બચ્યુ નથી, તમામ સભ્યો સંયમના માર્ગે જવાનું નક્કી કરી લીધું છે. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ભવ્ય ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાનની શોભાયાત્રા રવિવારે યોજાઈ હતી. આ શોભાયાત્રામાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બર સુરતમાં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે. જૈન શાસનના વિજય માર્ગની વિજય ધ્વજા લહેરાવતી અનેક વિશિષ્ટતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઈ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી ની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે. આ પરિવારના સંતાનો આર્થિક સંપન્ન હોવા છતાં તમામ ભૌતિક સુવિધાઓ છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી બતાવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત