Team Chabuk-Gujarat Desk: અમદાવાદનાં મેઘાણીનગરમાં નોંધાયેલી લૂંટની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો. તપાસમાં સામે આવ્યું કે, આંગડિયા પેઢીનાં કર્મીને દેવુ થઈ જતા મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પેઢીમાં કામ કરતા કર્મચારી પાસેથી 9.85 લાખનાં દાગીના ભરેલી બેગ લૂંટી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો. 25મી માર્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે, આંગડિયા પેઢીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો લલીત નાગર પેઢીમાંથી સોનાના દાગીનાનાં પાર્સલ લઈ ગ્રાહકને પહોંચાડવા નીકળ્યો હતો. જ્યારે તે મેઘાણીનગર સૈજપુર ગરનાળા પાસે કિશોર સ્કૂલ પહોંચ્યો ત્યારે બે શખ્સો બાઈક રોકાવી 9.85 લાખની કિંમતનાં દાગીનાં ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા.
લૂંટની ફરિયાદ નોંધાતા જ મેઘાણીનગર પોલીસનો કાફલો દોડતો થયો હતો અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી..જો કે, ફરિયાદીની ઉલટતપાસમાં તેણે લૂંટ કરીને ભાગવાનો જે રૂટ બતાવ્યો તેને લઈને પોલીસને શંકા ગઈ. ત્યારબાદ કડક પૂછપરછ કરતા ફરિયાદીએ જ લૂટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું કે, લલીત નાગરે તેના મિત્ર અલ્પેશ રાઠોડ સાથે મળી 15 દિવસ પહેલાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.. આરોપી લલીત નાગર માણેકચોક ખાતે આવેલી ક્રીસ ગોલ્ડ નામની પેઢીમાં 5 વર્ષથી નોકરી કરે છે. જોકે તેને શેરબજારમાં દોઢ લાખ રૂપિયાનું દેવુ થઈ જતા તરકટ રચ્યું હતું. અને પોતે જ અલ્પેશને નરોડા બોલાવી દાગીના ભરેલુ પાર્સલ આપી દીધુ હતું. બાદમાં પોલીસ અને માલિકને ગુમરાહ કરવા માટે સૈજપુર ગરનાળા પાસે જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હાલ શોર્ટ કર્ટથી રૂપિયા મેળવવાની લાલચમાં બંને મિત્રોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ ગુનામાં પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ કબજેકર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત