Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે. બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન અને ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન થાય તેવી શક્યતા છે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
મહત્વનું છે કે, આ પહેલાં હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પરથી ચૂંટણી લડવાની છે. બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 પૈકી 99 બેઠકો પર કબજો મેળવ્યો હતો. જ્યારે કોંગ્રસના ફાળે 77 બેઠક આવી હતી. જ્યારે અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ મતદારયાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત