Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના સરહદી વિસ્તારના મેઢાળા ગામે હત્યાનો ભેદ પોલીસે ચાર દિવસની અંદર અંદર ઉકેલી નાખ્યો છે. આ હત્યા અનૈતિક સંબંધના કારણે થઈ હતી. પૈસાની લેતી દેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા અને તેના પુત્રનું કાસળ કાઢી નાખ્યું હતું. જે દિવસે હત્યા થઈ ત્યારે મહિલાનો પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને સંબંધ બાંધવાની વાત કરી હતી. મહિલાએ નનૈયો ભણતા તે રોષે ભરાયો હતો અને મહિલાનું જોતજોતામાં કાસળ કાઢી નાખ્યું હતું. હત્યા થઈ એ સમયે મહિલાનો પુત્ર પણ આવી જતાં તેણે મહિલાના પુત્રની પણ નિર્મમ હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે માતા અને પુત્રના હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેઢાળા ગામમાં ઈસરાભાઈ પટેલ મજૂરી કામે ગયા હતા. એમણે ઘરે આવી જોયું તો તેમની પત્ની અને પુત્રની લાશ પડી હતી. પરિવારનો માળો પીંખાયો છે એ જોતા તેઓ ઘડીભર માટે તો સાનભાન ગુમાવી બેઠા હતા. બે હત્યા અંગે તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ઘટનાની તહેકિકાતની દિશામાં પગલું ભર્યું હતું. પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી હત્યારાનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સીની મદદથી અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી.
તપાસમાં વચ્ચે પરબત પટેલ હાથ આવ્યો હતો. પોલીસને તેના પર શંકા ગઈ હતી. વધારે પૂછપરછ કરતાં પરબત ભાંગી પડ્યો હતો અને માતા-પુત્રની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે શરીરસુખ અને પૈસાની માગણી કરવા માટે પરબત પ્રેમિકા સીતાને ત્યાં ગયો. ઘરમાં સીતા એકલી હતી. પરબતે શરીરસુખ અને સાથે કેટલાક પૈસા માગ્યા હતા, જેની સીતાએ ના પાડતા એ રોષે ભરાયો હતો અને કુહાડીથી સીતાબહેનનું ઢીમ ઢાળી દીધું હતું.
સીતાબહેનનું શરીર જ્યારે ઢળી પડ્યું ત્યારે જ નિશાળેથી તેમનો પુત્ર આવી પહોંચ્યો હતો. સીતાબહેનના પુત્રએ આખી હત્યા જોઈ લીધી હતી, જેથી તેને શાંત કરવા માટે પાપી પરબતે માસૂમની પણ કરપીણ હત્યા નીપજાવી હતી. પોલીસે પાપી પરબતની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે. અનૈતિક સંબંધના કારણે એક આખા ઘરનો માળો વેર વિખેર થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત