Team Chabuk-Gujarat Desk: ત્રણ વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં બાળકોના જીવ બચાવનાર રિયલ હીરો જતીન નાકરાણીની મદદે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા છે. આજે રવિવારે સી.આર.પાટીલે જતીન નાકરાણીના ઘરે રૂબરૂ મળીને પાંચ લાખ રૂપિયાની સહાય આપી છે. આ પાંચ લાખ રૂપિયા સુરત ભાજપ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે સુરત ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના નેતાઓ સાથે સી.આર.પાટીલ જતીન નાકરાણીના ઘરે પહોંચ્યા હતા અને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
આગળ પણ જરૂર પડશે તો મદદ કરીશુંઃ પાટીલ
સી.આર.પાટીલે આ અંગે કહ્યું કે, તક્ષશિલાની ઘટનામાં યુવાન દીકરા-દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જતીનની ઓફિસ આ બિલ્ડિંગમાં નીચે હતી. તેને 15 જેટલા દીકરા-દીકરીઓને સફળતાપૂર્વક બચાવ્યા હતા. તે ચોથા માળે બચાવવા માટે ગયો ત્યારે દુર્ઘટના સર્જાઈ અને તે ઉપરથી પડતાં માથામાં ઈજા થઈ હતી અને હાથમાં ચાર ફેક્ચર થયા હતા. આગામી સમયમાં જતીનનું ઓપરેશન કરવામાં આવશે ત્યારે પીએમ કેર ફંડ અને સીએમ કેર ફંડમાંથી પણ મદદ મળે તેવા પ્રયત્નો કરીશું.
ત્રણ વર્ષથી પથારીવશ
મહત્વનું છે કે, તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવવા માટે જતીન નાકરાણીએ પોતાની જિંદગી દાવ પર મૂકી દીધી હતી. આ દુર્ઘટનામાં જતીનને ગંભીર ઈજા થતાં તે કોમામાં સરી પડ્યો હતો. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે. મુખ્ય કમાનાર જતીન પથારીવશ થતાં પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. તેમના પિતા પાસે પણ મરણમૂડી ન હતી અને બેન્કના હપતા ન ભરાતાં ઘર સીલ કરવા સુધી નોબત આવી ગઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌપ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે એટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી. ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.
મદદ માટે આગળ આવી અનેક સંસ્થાઓ
તક્ષશિલામાં જતીન નાકરાણીના પૂર્વ વિદ્યાર્થી પાયલ જિયાણી કે જેઓ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.સુરત ભાજપ દ્વારા 5 લાખની સહાય, સાથે જ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા મદદા કરાઇ. શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા તો કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા સહાય અપાઇ છે.બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી છે. આ ઉપરાંત માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જ્યાં સુધી જતીન કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
