Team Chabuk-Gujarat Desk: કેન્દ્ર સરકારે CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કર્યા બાદ અવઢવમાં રહેલી ગુજરાત સરકારે પણ આખરે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનું નક્કી કરી લીધું છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકારે આ નિર્ણય લીધો છે.
આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા-વિચારણાઓના અંતે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે આ નિર્ણય સરકારે લીધો છે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યાના એક જ દિવસમાં સરકારે પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે બપોર બાદ ધોરણ 12 અને ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી યોજાવાની હતી. પરંતુ ત્યારબાદ ગઈકાલે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાતા ગુજરાત સરકાર પર પણ પરીક્ષા રદ કરવાનું દબાણ વધ્યું હતું. જેના કારણે ગઈકાલથી જ ગુજરાત બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
આજે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની પરીક્ષાનો મુદ્દે ઘણી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી. બેઠકની ચર્ચાનો મુખ્ય મુદ્દો પણ આ જ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બેઠકના અંતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પરીક્ષા રદ કરવા સરકાર પર હતું દબાણ
એક તરફ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાંતા રાજ્ય સરકાર પર ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવા દબાણ વધ્યું હતું. બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા પણ પરીક્ષા રદ કરવા માગ કરાઈ હતી. NSUIએ કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર પરીક્ષા રદ કરી શકતી હોય તો ગુજરાત સરકારને પણ આ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો ગુજરાતમાં પરીક્ષા રદ નહીં કરવામાં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો ઘેરાવ કરીને આંદોલન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા વાલીઓ પણ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા હતા. આમ અનેક બાજુએથી ઘેરાયેલી સરકારને પરીક્ષા રદ કરવાનો નિર્ણય અંતે લેવો પડ્યો છે.
માસ પ્રમોશન અંગે ટૂંક સમયમાં પ્રક્રિયા હાથ ધરાશે
રાજ્યના શિક્ષણ વિભાગે અગાઉ ધોરણ 1 થી 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન આપી દીધું છે. હવે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાતા તેઓને કઈ રીતે માસ પ્રમોશન આપવું તેની પ્રક્રિયા હવે હાથ ધરવામાંમ આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત