Homeગુર્જર નગરીપ્રેમની તાલીબાની સજા: યુવક-યુવતી હાથ જોડીને ચોધાર આંસુએ રડતા રહ્યા પરંતુ આ...

પ્રેમની તાલીબાની સજા: યુવક-યુવતી હાથ જોડીને ચોધાર આંસુએ રડતા રહ્યા પરંતુ આ લોકોને જરા પણ દયા ન આવી

Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુરમાં (chhotaudepur) ફરી એકવાર માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી યુગલને કેટલાક લોકોએ એટલો માર માર્યો કે વીડિયો જોઈને કોઈ પણ લોકોનું હ્રદય દ્રવી ઉઠે. આરોપીઓએ સ્ત્રી પ્રત્યેની માનમર્યાદા ભૂલી તાલીબાની સજા આપી હતી. યુવક અને યુવતીઓ પીડાથી બૂમ પાડી રહ્યા છે, ચોધાર આંસુએ રડતાં-રડતાં હાથ જોડીને દયાની ભીખ માગી રહ્યા છે પરંતુ હાજર લોકોમાંથી કોઈને પણ દયા નથી આવતી અને અત્યાચાર ચાલુ જ રાખે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ પણ કરી લીધી છે.

ઘટના ક્યાં વિસ્તારની છે ?

છોટાઉદેપુરના ચિલિયાવાંટ (chiliyavant) ગામનો વીડિયો છે. દાવો કરાયો છે કે, ગામના યુવક-યુવતીને (couple) પ્રેમસંબંધ બંધાયો હતો જો કે, તેમના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. આ બાબતે જ બંને પરિવારે ભેગા મળીને યુવક અને યુવતીને તાલીબાની સજા આપી હતી. આરોપીએ યુવક-યુવતીને સરગવાના વૃક્ષ સાથે બાંધી દીધી હતી અને ત્યારબાદ લાકડીના ફટકા માર્યા હતા. આરોપીએ બંનેની એટલી પીટાઈ કરી હતી કે બંને અધમૂઆ થઈ ગયા હતા.આ પહેલી ઘટના નથી કે, આદિવાસી વિસ્તારમાં પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હોય.

આ પહેલાં પણ આવી જ ઘટના બની હતી

આ પહેલાં પણ પ્રેમી યુગલને તાલીબાની સજા મળી ચુકી છે. થોડા સમય પહેલાં પણ છોટાઉદેપુરના રંગપુર રાઠ વિસ્તારમાં એક પ્રેમી યુગલ પર આવો જ અત્યાચાર કરાયો હતો. યુવતીના પરિવારજનોએ યુગલને વીજળીના પોલ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓમાં યુગલને પોતાની મરજીથી લગ્ન કરવા સમાજને જ મંજૂર ન હોવાનો દાવો કરાયો છે.

ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરના દાવા કરાઈ રહ્યા છે. પરંતુ રાજ્યમાં જ આવા કેટલાક જિલ્લાઓના અંતરળિયાળ વિસ્તારો છે જ્યાં સ્ત્રીઓને હજુ તુચ્છ જ માનવામાં આવે છે. અહીં સ્ત્રીઓ પોતાની મરજીથી કંઈ કરે તો તેને મર્યાદાઓનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ભરબજારે તેનું અપમાન કરવામાં આવે છે. આ જિલ્લાઓ સ્ત્રીઓ પ્રત્યેની મર્યાદા વિશે જાગૃત થાય તે જરૂરી છે. સરકારે પણ વધી રહેલા આવા કિસ્સાઓ પ્રત્યે કડક પગલાં લઈ દાખલાઓ બેસાડવા પડશે ત્યારે જ ભવિષ્યમાં સ્ત્રીઓને ન્યાય મળશે નહી તો આવા કેટલાય યુગલો આગળ પણ આવા રાક્ષસીવૃતિ ધરાવતા લોકોનો ભોગ બનતા રહેશે.

તાજેતાજો ઘણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments