Homeગુર્જર નગરીપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટાગજાના નેતા માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે ઉપરાંત તેઓ કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. 30 જુલાઈ 1927ના જન્મેલા માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.તેમણે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. માધવસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7માં મુખ્યમંત્રી બન્યા હતા.  ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠક જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.

માધવસિંહ સોલંકી ખામ થીયરીના કારણે પણ ખૂબ જાણીતા હતા. માધવસિંહ સોલંકી 1980માં KHAM (ક્ષત્રિય, અનુસુચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) ફોર્મ્યુલા પર ગુજરાતમાં સત્તા પર આવ્યા હોવાનું જાણીતું છે. ખામ થીયરીના આધારે જ તેઓએ વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠક જીતી હતી. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. 1991માં તેઓ પી.વી.નરસિમ્હા રાવની સરકારમાં કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચુક્યા છે. માધવસિંહ સોલંકીના રૂપમાં કોંગ્રેસે એક પીઢ નેતા ગુમાવ્યા છે. તેઓના નિધનથી કોંગ્રેસ પાર્ટીને મોટી ખોટ પડી છે. માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકા છે, તેઓ પરત આવ્યા બાદ આવતીકાલે અથવા સોમવારે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજકીય સફર

માધવસિંહ સોલંકી ટૂંક સમય માટે 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1981માં માધવસિંહ સોલંકી ફરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીએ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતની રજૂઆત કરી હતી. માધવસિંહ સોલંકીએ 1985માં રાજીનામું આપ્યું હતું પરંતુ બાદમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 149 જીતીને સત્તા પરત ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘માધવસિંહ સોલંકી એક પ્રચંડ નેતા હતા, જેમણે દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.’ એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘શ્રી માધવસિંહ સોલંકીજી એક પ્રબળ નેતા હતા, જેઓ ગુજરાતના રાજકારણમાં દાયકાઓથી મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેઓ સમાજની સમૃદ્ધ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુ:ખી છું. તેમના પુત્ર ભરત સાથે વાત કરી સોલંકીજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.’ ‘રાજકારણથી આગળ, શ્રી માધવસિંહ સોલંકીજી વાંચનનો આનંદ લેતા હતા અને સંસ્કૃતિ પ્રત્યે ઉત્સાહિત હતા. જ્યારે પણ હું તેમને મળતો કે તેમની સાથે વાત કરતો, અમે પુસ્તકોની ચર્ચા કરતા અને તેઓ મને તાજેતરમાં વાંચેલા નવા પુસ્તક વિશે કહેતા. હું હંમેશાં આપણી વાર્તાલાપને કદર કરીશ.’

મુખ્યમંત્રીએ પ્રવાસ રદ કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ માધવસિંહ સોલંકીના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ માધવસિંહ સોલંકીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.’

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે ટ્વિટ કરીને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યુું કે, ‘આદરણીય માધવસિંહ સોલંકીના નિધનના સમાચારથી દુઃખી છું. ઈશ્વર તેમની પવિત્ર આત્માને શાંતિ આપે. તેમના જીવન દરમિયાન તેઓએ પોતાના સ્વભાવ અને કાર્યોથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી.’

તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ મારફતે માધવસિંહ સોલંકીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ માધવસિંહ સોલંકીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, ‘ગુજરાત અને ભારતીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, અમારા સૌના રાજકીય માર્ગદર્શક માધવસિંહ સોલંકીજીના નિધનથી ખુબ જ દુઃખ થયું છે. મારા સાથી ભરતસિંહ સોલંકી અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. માધવસિંહજીની આત્માને શાંતિ માટે પ્રાર્થના.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments