Team Cahbuk : રાતના અંધકારમાં સ્મશાનમાંથી રાજા વિક્રમ મડદાને પીઠ પાછળ લાદી નીકળી પડ્યા. ચીબરી માથેથી ઊડી. સ્મશાનની પૂર્વ દિશામાંથી શિયાળના રડવાનો અવાજ આવતો હતો. સ્મશાનમાં ધીમે ડગલે ચાલતા રાજાને વેતાલે વાત કહી, ‘હે રાજન્ હું એ વાતથી અત્યધિક પ્રસન્ન છું કે જરા પણ હેરાન થયા વિના તું મારા સવાલોનો જવાબ આપી રહ્યો છે અને વારંવાર આવવા અને જવાની સમસ્યા પણ ઉઠાવે છે. સમસ્યા જ નહીં મને પણ ઉઠાવે છે. હાહાહાહા… આજે હું તને તારી અત્યાર સુધીની સૌથી મોટી વાર્તા સંભળાવીશ. ડરતો નહીં. જવાબ આપજે.’ કહી વેતાલે વાર્તાની શરૂઆત કરી.
કોઈ એક નગરમાં માંડલિક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની પત્નીનું નામ ચંડવતી હતું. એ માલવ દેશના રાજાની પુત્રી હતી. તેને લાવણ્યવતી નામની એક સુંદર પુત્રી હતી. એ હવે વિવાહ યોગ્ય થઈ હતી. એટલામાં રાજાના જ ભાઈઓએ બળવો કરી તેનું રાજ્ય છિનવી લીધું. રાજા હતો ન હતો થઈ ગયો અને તેને દેશમાંથી ખદેડી મૂકવામાં આવ્યો.
રાજા, રાણી અને પુત્રીને લઈ માલવ દેશ તરફ ચાલી નીકળ્યો. રાતના તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. પહેલા દિવસે પગપાળા પ્રવાસ કરતા ભીલોની નગરીમાં પહોંચ્યા. રાજાએ રાણીને કહ્યું, ‘આ વનમાં ભીલોનો ત્રાસ છે. તમારે બંનેએ વનમાં કોઈ સુરક્ષિત જગ્યાએ આસરો લેવો પડશે.’
‘ભીલ તો આ વનવગડાના એક એક પાંદડાને જાણે છે. અમે ગમે ત્યાં છુપાઈશું શોધી જ લેશે.’ રાણીએ રાજાને ઉત્તર આપ્યો.
‘હા, રાણી. મૃત્યુ તો આવવાનું જ છે. એ આજ આવે કે આવતીકાલ. પણ હું નથી ઈચ્છતો કે મારી હાજરીમાં જ ભીલો તમને મારી નાખે એટલે કોઈ સુરક્ષિત જગ્યાએ આશ્રય લો.’
રાણી અને તેની પુત્રી તો વનમાં છુપાઈ ગઈ અને રાજા ચોકીદારી કરતો રહ્યો. થોડી ક્ષણોમાં જ ભીલોએ આક્રમણ કરી દીધું. રાજા વીરતાપૂર્વક લડ્યો, પણ અંતમાં ભીલોના હાથે મૃત્યુ પામ્યો.
ભીલ ચાલ્યા ગયા તો રાણી અને તેની પુત્રી જંગલમાંથી નીકળીને બહાર આવી. રાજાને મૃત્યુ પામેલો જોઈ દુ:ખી થઈ ગઈ. શોક કરતા કરતા તે તળાવના કિનારે પહોંચી. એ સમયે જ ત્યાં ચંડસિંહ નામનો શાહુકાર ઘોડા પર પોતાના પુત્રની સાથે આવ્યો. એ ત્યાં શિકાર કરવા માટે આવ્યો હતો. જાનવરોના પગ જોતા જોતા તળાવ પર તેમણે બે સ્ત્રીઓના પગ જોયા. શાહુકારે પોતાના દીકરાને જોઈ કહ્યું, ‘આ સ્ત્રીઓ પગથી જ અધિક સુંદર હોવાની પ્રતીતિ થઈ રહી છે. જો એ મળી જાય તો જેને ઈચ્છે તેની સાથે વિવાહ કરી લેજે.’
છોકરાએ કહ્યું, ‘નાના પગવાળી નાની ઊંમરની હશે. હું નાના પગવાળી સાથે વિવાહ કરીશ. તમે મોટા પગવાળી સાથે વિવાહ કરી લેજો.’ શાહુકાર તો વિવાહ કરવા ઈચ્છતો જ નહોતો. પણ બે સ્ત્રીઓના પગની છાપ હતી. પુત્રના દબાણને વશ થઈ તેણે હા કહી દીધી. તળાવથી થોડે આગળ જતા જ સ્ત્રીઓ દેખાણી. શાહુકારે પૂછ્યું, ‘તું કોણ ?’
શાહુકારે પરિચય પૂછતા સ્ત્રીઓએ આખી વાર્તા સામે રાખી દીધી. શાહુકાર તેને પોતાના ઘરે લાવ્યો. હવે પુત્ર અને તેણે આ સ્ત્રીઓ સાથે જ વિવાહ કરવાના હતા. જોકે એક મુસીબત આવી પડી. નાના પગ માતાના હતા અને પુત્રીના પગ તેનાથી મોટા હતા.
પિતા આ વાત માનવા તૈયાર નહોતા. એમણે પુત્રને મનાવ્યો પણ પુત્ર માન્યો નહીં. એ પૂર્વે લીધેલા નિર્ણય પર હઠ લઈ બેઠો હતો. રાણી પણ વિવાહ માટે ઉત્સુક હતી પણ જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેનાથી રાજી નહોતી. તેણે શાહુકારના પુત્રની પાસે જઈ કહ્યું, ‘તું મારી પુત્રી માટે યોગ્ય છે અને હું તારા પિતા માટે. તો શું કામે તેમ જ વિવાહ ન કરીએ.’
‘હું મારા પિતા સાથે અગાઉથી નક્કી કરી ચૂક્યો છું. આપના વિવાહ મારી સાથે જ થશે અને આપની પુત્રીના વિવાહ મારા પિતા સાથે. મને લાગ્યું કે ઉંમર પ્રમાણે આપની પુત્રીના પગ નાના હશે પણ એ વાત અસત્ય નીકળી. એ માટે હું ખૂદને દોષી સમજુ છું, પણ મોમાંથી નીકળેલા શબ્દોને પરત વાળી નહીં શકાય.’
આખરે એ નિર્ણયની કાંટાળી પગથી પર જ ચાલવાનું નક્કી થયું. નાના પગવાળી સ્ત્રી ચંડવતી સાથે શાહુકારના પુત્રએ લગ્ન કર્યા જ્યારે પુત્રને યોગ્ય એવી લાવણ્યવતી સાથે શાહુકારે પોતે વિવાહ કર્યા. એ રીતે પુત્રએ રાણી સાથે લગ્ન કર્યા એટલે પુત્રી સાસુ અને મા દીકરી બની ગઈ. એ બંનેની આગળ જઈ ઘણી સંતાનો થઈ.
બસ આટલી વાત કરી વેતાલે વિક્રમને પૂછ્યું, ‘તો રાજન્ બતાવ. લાવણ્યવતીની માતા ચંડવતી અને લાવણ્યવતીને જે જે સંતાનો થઈ તેમનો સંબંધ શું થયો કહેવાય ?’
વિક્રમ કંઈ ન બોલ્યો એટલે વેતાલે પોતાનું શસ્ત્ર ઉગામ્યું, ‘બોલ રાજા… બોલ લાવણ્યવતી અને તેની માતાની સંતાનોના સંબંધ શું થાય ? બોલ નહીં તો તારા માથાના હજ્જારો ટુકડા થઈ જશે.’
વેતાલની વાત સાંભળ્યા છતાં રાજા મૌન રહ્યો. એ કંઈ બોલી નહોતો રહ્યો. વેતાલ પણ વિચારમાં ડૂબી ગયો કે રાજા જવાબ આપવા નથી માગતો કે જવાબ તેને જ્ઞાત નથી. આ તો મોટી દુવિધા આવી પડી. વિક્રમને પણ આ વિટંબણામાંથી છૂટકારો આપવા વેતાલે કહ્યું, ‘રાજન્ કોઈ વાત નહીં. હું તારા ધીરજ અને પરાક્રમથી ખુશ છું. પણ તું એક મોટી ભૂલ કરી રહ્યો છે.’
(આવતીકાલે વિક્રમ અને વેતાલ પૂર્ણ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત