Homeગુર્જર નગરીજમજીરનું હીર ખીલી ઉઠ્યું, જોનારાઓ મંત્રમુગ્ધ

જમજીરનું હીર ખીલી ઉઠ્યું, જોનારાઓ મંત્રમુગ્ધ

Team Chabuk-Gujarat Desk: બે દિવસ ચાલેલી મેઘ મહેરના પ્રતાપે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની પ્રકૃતિ ખીલી ઉઠી છે. તેની સુંદરતા અપ્રતિમ છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે ગીર ગઢડા તાલુકાની મધ્યમાં ધુઆધાર બનીને વહેતા જમજીરના ધોધને કેમ વિસરી શકાય. તેનો ધસમસતો પ્રવાહ મોતના ધોધ તરીકે સુવિખ્યાત છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શિંગોડા નદી બે કાંઠે છલકાય અને જમજીરના ધોધને નયનરમ્ય બનાવે. તેની મનોહરતામાં વધારો કરે. તેની સુકાય ગયેલી જમીનને ધોધના પાણી વડે ફળદ્રુપ બનાવે. તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે. પ્રકૃતિનો આવો સુલભ અને દુર્લભ નજારો સૌરાષ્ટ્રમાં તો બીજે ક્યાં જોવા મળે.  

જમજીર ધોધ પર્યટનનું નવું કેન્દ્રસ્થાન હોવાના કારણે દૂર દૂરથી તેને જોવા માટે પ્રવાસીઓ આવી પડે છે. ખાસ તો ચોમાસાની સિઝનમાં જમજીરનો ધોધ જે રીતે પોતાની સુંદરતા ગીરના સિંહની કેશવાળીની જેમ પાથરીને બેઠો હોય છે તેને સગ્ગી આંખે જોનારા તો એમ જ કહી બેસે છે કે, ‘આને વિકસિત કરવો જોઈએ.’ જોકે જમજીરને વિકસાવવાની માગ તો માત્ર કાગળ પર વાઘ બનીને રહી જાય છે.

શ્રાવણ અને અષાઢમાં વરસાદની જગ્યાએ ઉનાળાનું સામ્રાજ્ય રહ્યું હતું. રહી રહીને ભાદરવામાં મેઘરાજાએ ભરપૂર આશિર્વાદ આપ્યા હતા. માત્ર બે દિવસમાં જ સૌરાષ્ટ્રની કોરીધાકોર ધરતીને ભીંજવી દીધી હતી. જેથી નદી, નાળા અને ડેમ છલકાય ગયા હતા. તો કુદરતી ઝરણાઓ ફૂટી નીકળ્યા હતા. ચોમાસા બાદ પ્રકૃતિએ પહેરેલા નવા વાઘાને જોવા માટે હવે લોકોનું ઉર પણ મોર બની થનગની રહ્યું છે. ટૂંક સમયમાં તેનો ધસારો જમજીર બાજુ ફંટાય તો નવાઈ નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments