Homeગુર્જર નગરીગીર સોમનાથઃ જાંબુરના સીદી યુવાનોની સરસ્વતીના ધસમસતા પાણીમાં છલાંગ, જુઓ વીડિયો

ગીર સોમનાથઃ જાંબુરના સીદી યુવાનોની સરસ્વતીના ધસમસતા પાણીમાં છલાંગ, જુઓ વીડિયો

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી મેઘરાજાએ સોમનાથ જિલ્લામાં પણ મંડાણ કર્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સોમનાથ જિલ્લામાં ક્યાક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પાંચ વાગ્યા સુધીમાં ગીર સોમનાથના તાલાળામાં બે ઈંચ, ગીરગઢડામાં દોઢ ઈંચ, વેરાવળમાં પોણો ઈંચ, ઊનામાં પોણો ઈંચ તેમજ કોડીનાર અને સુત્રાપાડામાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

જો કે, ગીરના જંગલમાં ઉપરવાસમાં સારા વરસાદને લઈને સરસ્વતી નદી ગાંડીતૂર બની છે. નદીમાં ઘોડાપૂર આવતા પ્રાચી તીર્થ ખાતે માધવરાયજી ભગવાનનું મંદિર સિઝનમાં બીજીવાર જળમગ્ન થયું છે. હાલ નદીનું પાણી માધવરાયજીની પ્રતિમાથી 10 ફૂટ ઉપર વહી રહ્યું છે.

આ તરફ હિરણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. ગીરના જંગલમાં ભારે વરસાદના પગલે હિરણનદીનું જળસ્તર વધ્યું છે. હિરણ નદીમાં નવા નીરની આવકથી વેરાવળ, સૂત્રાપાડા સહિતના ગામોને પીવાના પાણીનું સંકટ ટળ્યું છે. વેરાવળ અને તાલાળાને પાણી પુરૂ પાડતાં હિરણ ડેમની જળસપાટી પણ વધી છે. ડેમનું જળસ્તર વધતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છે.

વરસાદી માહોલ વચ્ચે તાલાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયોમાં એક મહાકાય મગર છીછરા પાણીમાંથી ઊંડા પાણીમાં જતી જોવા મળી રહી છે. રસ્તા પર મગર ચઢી આવતા રસ્તા પરથી પસાર થતાં રાહદારીએ મગરનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો છે. વીડિયોમાં જોઈ મહાકાય મગરને જોઈ શકાય છે. આશરે 9થી 10 ફૂટની મગર થોડીવાર માટે રાહદારીનો રસ્તો રોકી લે છે. ત્યારબાદ તેજ ગતિથી જાણે કોઈ સાથે 100 મીટર દોડની રેસ લગાવતી હોય તેમ દોડ મુકે છે અને ઉંડા પાણીમાં છલાંગ લગાવી દે છે. વીડિયો સાસણ રોડ પર આવેલા ચેકડેમનો હોવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, નદીના પાણી સાથે ક્યારેક મગર પણ નદીમાં આવી જતી હોય છે. ઊના તાલુકાની મછૂદરી નદીમાં પણ મગર હોવાની ચર્ચા છે. અનેકવાર સ્થાનિકોની નજરે આ મગર ચઢી છે. સ્થાનિકોનું કહેવું છે કે, હવે તો નદીમાં કે નદી કિનારે મગર બેસેલી જોવી તેમના માટે કોઈ નવી વાત નથી. મહોદેશ્વર પાસે ચેકડેમ બન્યા બાદ ઉપરવાસમાં બારેબાસ પાણી રહે છે. આ પાણીમાં મગર પણ બારેમાસ રહેતી હોવાની ચર્ચા છે. નદી કિનારે વસતા લોકોનું કહેવું છે કે, મગર નદીમાં રહે ત્યાં સુધી કોઈ વાંધો નથી બસ કિનારા તરફથી ઘર સુધી ન પહોંચી જાય !

તો આ તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલાના જાંબુર ગામના સીદી યુવાનોએ સરસ્વતી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે છલાંગ લગાવી હતી. સીદી યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવાનો પુલ પરથી નદીમાં છલાંગ લગાવી રહ્યા છે. યુવાનો પોતાનો જીવ હથેળી પર લઈ નદીમાં કૂદતાં જરા પણ અચકાતા નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments