Team Chabuk-Gujarat Desk: ઊનાના જાણીતા ડોક્ટર રસિક વઘાસિયા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ડોક્ટર પર વન વિભાગની જમીનમાં ગેરકાયદે કબજો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. તાલાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ડોક્ટર વઘાસિયા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. દાવો છે કે, ડોક્ટર વઘાસિયાએ દબાણવાળી જમીનમાં એક બે નહીં પરંતુ 28 રૂમ, એક રસોડું, એક કોન્ફરન્સ હોલ, એક સ્વીમિંગ પૂલ અને એક ગોડાઉનનું કોમર્સિયલ હેતુ માટે વન વિભાગની મંજૂરી વગર બાંધકામ કરી દીધુ છે. આ એક પ્રકારનું ફાર્મ હાઉસ છે જેને ડોક્ટર વઘાસિયાએ ગીર એથિઝ રિસોર્ટ નામ આપ્યું છે.
વન વિભાગની જમીન પર ગેરકાયદે કબજો કરનારો ડોક્ટર વઘાસિયા આ કેસમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ જેલ ભેગો થઈ શકે છે. આ ઉપરાંત મિલકતની જંત્રીની કિંમતના દંડને પાત્ર પણ ઠરી શકે છે.2020માં જ નવા બનાવાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં આ સજાની જોગવાઈ છે. સાથે સાથે જ ફરિયાદ નોંધાયાના 30 દિવસમાં જ સંપૂર્ણ ચાર્જશીટ પણ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની અને 6 મહિનામાં સ્પેશિયલ કોર્ટમાં કેસનો નિકાલ કરવાની જોગવાઈ છે.
ક્યાં બનાવ્યું ફાર્મ હાઉસ ?
આરોપ છે કે, ડોક્ટર રસિક વઘાસિયાએ ગીર સોમનાથના તાલાલા તાલુકાના હડમતિયા ગામે ગુજરાત વન વિભાગની માલિકીની જમીનમાં કુલ હે.01-04-55 ચો.મી. દબાણ કર્યુ છે. આ અંગે તપાસમાં વધુ વિગતો સામે આવશે. જો કે, હાલ તો ઊનાના આ નામચીન ડોક્ટર વિવાદોમાં આવી રહ્યો છે અને તેના વિરૂદ્ધ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ ફાર્મહાઉસનો મુદ્દો ઉઠી ચુક્યો છે જો કે, ડોક્ટર વઘાસિયા રાજકીય વગ ધરાવતા હોવાથી તેના વિરૂદ્ધ ફરિયાદ ન થઈ હોવાનો આરોપ છે. જો કે, તે વખતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં ન હતો જેથી તેને છટકબારી મળી જતી હોવાની ચર્ચા છે. આ વખતે કેસની તપાસ ખુદ DySP કક્ષાના અધિકારી કરી રહ્યા છે. જેથી જો ડોક્ટર વઘાસિયા દોષિત ઠરશે તો તેમને જેલની હવા ખાવાનું નક્કી જ છે.
અગાઉ લાગી ચુક્યો છે લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ
અગાઉ આ ઊનામાં સિલ્વર કોમ્પ્લેક્સમાં માનવદીપ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર વઘાસિયા પર વિદ્યાર્થી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગી ચુક્યો છે. જો કે, તે કેસમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુધી લેખિતમાં રજૂઆતો કરી છે પરંતુ વિદ્યાર્થીનો અવાજ ન તો સ્થાનિક તંત્રએ સાંભળ્યો છે ન તો ઉચ્ચકક્ષાએ કોઈના કાને પડ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત